• કોંગ્રેસ 'નરેશ'નું 'હાર્દિક' સ્વાગત, દિલ્હી દરબારમાંથી એન્ટ્રી સાથે જ મળશે મોટી જવાબદારી?


અમદાવાદ : નરેશ પટેલ દિલ્હી દરબારમાં મુલાકાત કરીને પરત ફરી ચુક્યાં છે. સુત્રો અનુસાર તેમની સોનિયા ગાંધી સાથે મુલાકાત થઇ ચુકી છે. અને મોટા ભાગની વાત સકારાત્મક રહી છે. આ ઉપરાંત નરેશ પટેલે મુકેલી તમામ શરતો પણ માનવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે. તેમની શરતો સાથે નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ થાય તેવી શક્યતા છે. તેમના આ પ્રવેશોત્સવની ઉજવણી ભવ્યાતીભવ્ય રીતે કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે નરેશ પટેલને કોંગ્રેસમાં એન્ટ્રી સાથે જ એક મોટો ટાસ્ક પણ દિલ્હી દરબારમાંથી સોંપાવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં તેમણે હાર્દિક પટેલને મનાવવાનો રહેશે. તે કોંગ્રેસ છોડીને ભાજપ કે આપમાં ન જોડાય અને કોંગ્રેસ સાથે જ જળવાઇ રહે તેવા પ્રયાસો નરેશ પટેલે કરવાનાં રહેશે. આ ઉપરાંત નબળા પડી ગયેલા સંગઠનને પણ મજબુત કરવાની જવાબદારી નરેશ પટેલની રહેશે. અત્રે નોંધનીય છે કે, પહેલાથી જ કોંગ્રેસ પાછળ ચાલી રહ્યું છે, તેવામાં સંગઠન મજબુત કરીને પછી પ્રચાર પણ કરવો અને અસંતોષ પણ ખાળવો વગેરે બાબતો નરેશ પટેલ માટે મોટા પડકારો સાબિત થઇ શકે છે. 


બીજી તરફ પ્રશાંત કિશોરની પણ કોંગ્રેસમાં એન્ટ્રી થઇ શકે છે. નરેશ પટેલનો પણ પ્રથમ પ્રોજેક્ટ ગુજરાત જ રહેશે. આ ઉપરાંત અત્યાર સુધી ગુજરાતમાં લગભગ નિષ્ક્રિય જેવી રહેલી કોંગ્રેસનું સંગઠન મજબુત કરવાની સાથે સાથે ભાજપ ઉપરાંત આપને ટક્કર આપવી તે એક અઘરૂ કામ રહેશે. આપ ગુજરાતની રાજનીતિમાં ખુબ જ ઓછા સમયમાં ખુબ જ ઝડપથી મજબુત વિપક્ષ તરીકે ઉભર્યું છે. તેવામાં કોંગ્રેસમાં નરેશ પટેલ આવ્યા પછી પણ પડકારોનો કોઇ પાર નથી. ત્યારે કોઇ પણ નવું આવે ત્યારે પોતાનાં ચોકા બનાવીને બેઠેલા નેતાઓનાં હિત જોખમાય તેથી તેઓ પણ અસંતોષી બનશે. તેમના અસંતોષને ખાળવો પણ એક મોટો પડકાર છે.