નવસારીઃ નવસારીની સબજેલના કેદી ઈમ્તિયાઝ બસીર શેખે હાથ અને પગની નસ કાપીને આત્મહત્યા કરી લીધી છે. કાચા કામનો કેદી એવો ઈમ્તિયાઝ સબજેલના બેરેક નંબર-9માં છેલ્લાં 3 મહિનાથી હતો. સબ જેલના બેરેકમાં બ્લેડ મારી પોતાને ઈજા પહોંચાડતા કેદીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન 2 કલાક પછી તેનું મોત થયું હતું. ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે પોલીસ સાથે મારામારીના કેસમાં ઈમ્તિયાઝ જેલમાં બંધ હતો.