મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં લોકડાઉનના ભંગ બદલ વસ્ત્રાપુર પોલીસ હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. અનેક વખત કહેવા છતાં કારણ વગર જ ફ્લેટમાં અનેક આયોજન કે રમત રમતા લોકો નહીં સુધરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસ્ત્રાપુરમાં આવેલ તક્ષશીલા એપાર્ટમેન્ટના પોલીસે CCTV ચેક કરતા નીચે ટોળે વળી ભેગા થઈ ગપ્પા મારતા લોકોને પડક્યા છે. આ ફૂટેજ પણ સોસાયટીના જ હતા જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દૂધ લઇ ભેગા ચા બનાવતા હતા. જે અંગે પોલીસને જાણકારી મળતા ચા બનાવવાનો સામાન પણ કબ્જે કર્યો અને સોસાયટીના 9 વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે તેની વિગતો આપતા રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન જે દુકાનો ખોલવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે.


આ અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. પાન, મસાલા, ચા-નાસ્તા, રેસ્ટોરાં, હેર કટિંગ જેવી દુકાનોને ખોલવા પર પ્રતિબંધ છે. તેમ છતાં જો આવી દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકત્રીત થયેલા ગ્રાહકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનના ચુસ્ત પાલન માટે ખાસ તકેદારી રખવામાં આવી રહી છે.


શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમુક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ સહિત કેટલાક બ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે. તેમાં નાગરિકો તંત્રને સહયોગ આપે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે જરૂરી છે.


નાગરિકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી માટે દરરોજ બહાર ન આવે. બે-ત્રણ દિવસે બહાર નીકળીને જરૂરી સામગ્રી ખરીદે તે જરૂરી છે. લોકડાઉનના ભંગ અંગે નાગરિકોને જાણ થાય તો તાત્કાલીક 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube