Gujarat Elections 2022 :પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના બિન્દાસ્ત બોલ માટે પ્રખ્યાત છે. તેઓ જ્યારે પણ બોલે છે, બેખૌફ થઈને બોલે છે. એટલે જ તેમનો ચાહકવર્ગ મોટો છે. તેમની આ છબી લોકોને પસંદ આવે છે. આ વખતે ભલે તેઓ ચૂંટણીમા ઉભા રહ્યા ન હોય, પરંતુ ભાજપનું કમળ ખીલે તે માટે પ્રચારમા લાગી ગયા છે. આજે કડી ખાતે ભાજપના કાર્યાલયનું તેમના હસ્તે ઉદઘાટન કરાયુ હતું. ત્યારે સભામાં સંબોધનથી ફરી એકવાર લોકો તેમના આશિક થઈ ગયા હતા. તેમણે સભામાં એક પછી એક ચોટદાર નિવેદન આપ્યા હતા. સાથે જ નિતિનભાઈએ ભાવુક થઈ કહ્યું હતું કે, ગાયે મને પછાડ્યો પણ તિરંગો પડવા નહોતો દીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડીમાં ભાજપે કરસન સોલંકીને ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે કડીમાં તેમના કાર્યાલયના ઉદઘાટનમાં નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ પ્રંસગે આયોજિત સભામાં નીતિન પટેલે આફરીન પોકારી દે તેવુ ભાષણ આપ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, સારું કામ કરીએ તો કોઈ જોતું નથી, પરંતુ ગાયે ભેટુ મારી તો આખી દુનિયાએ જોયું. પણ તેમાંથી એક વાત નીકળી પત્રકાર મિત્રોએ ટીવીમાં તેમજ પેપરો દ્વારા મને ધ્યાન ઉપર મૂક્યું કે, તિરંગા રેલી દરમિયાન ગાયે ભેટુ માર્યું હતું. તે સમયે મારા હાથમાં રહેલો તિરંગો પણ મેં પડવા ન દીધો અને ભગવાને પણ મને પડવા ન દીધો અને મારા પગમાં ખાલી ફ્રેક્ચર જ થયું હતું. પણ મારા હાથમાં તિરંગો હતો તે ફરકતો રહ્યો હતો, એ જ રીતે તિરંગો અને કમળ ફરકતા રહે એવી રીતે આપણે સૌએ કામ કરવાનું છે. 



તેમણે સંબોધનમાં કહ્યુ હતું કે, હું જીવું છું ત્યાંસુધી ભાજપ સિવાય વાત નહીં કરું. મહેસાણા અને કડી તો મારા ડાબા અને જમણા હાથ છે. અમે લડી લડીને માર ખાધો છે. પોલીસે અમારા પર કેસ પણ કર્યા હતા. અમારા પર કેસ હતા એટલે દબંગ કહેવાય પણ કેવી રીતે દબંગ હતાં અમે કોંગ્રેસની સરકાર સામે લડતા હતા અને આંદોલનો કરતાં હતાં એટલે અમારા ઉપર કેસ થતાં હતાં.