અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં ઘટી રહેલા કેસો વચ્ચે પુરજોશમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો વેક્સીન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. એએમસી દ્વારા અનેક વિસ્તારોમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ છે. આવતીકાલથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોધપુરમાં કયા સ્થળે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન કરાશે 
અમદાવાદમાં પોતાના વાહન, રીક્ષા કે કારમાં આવીને બેઠા બેઠા જ કોવિડ રસી મેળવી શકાય છે. અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમા, નિકોલ વિસ્તાર, સરદાર સ્ટેડિયમ બાદ હવે આવતીકાલથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ થવા જઈ રહ્યું છે. જોધપુરમાં એએમસી પ્લોટ, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ પાછળ, સાંઈબાબા મંદિર પાસે આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.  


અમદાવાદના ડ્રાઈવિંગ થિયેટરમાં શરૂ થયેલા ડ્રાઇવ થકી વેક્સીનેશનનો આજે ત્રીજો દિવસ છે. આજે અંદાજિત 400 થી વધુ ગાડીઓની લાઈનો થિયેટરની બહાર લાગેલી જોવા મળી છે. લગભગ દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી છે. જે બતાવે છે કે, વેક્સીનને લઈને શહેરીજનોમાં જાગૃતિ આવી છે. 45 વર્ષથી ઉપરની વયના લોકોને હાલ વેક્સીન આપવામાં આવી રહી છે. 


તો બીજી તરફ, ડ્રાઈવિંગ થિયેટર ખાતે વેક્સીન લેવા આવનારા લોકોને કડવો અનુભવ થયો હતો. વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ 28 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો તે નિર્ણય તંત્ર દ્વારા રાતોરાત બદલી દેવાયો છે. પહેલા ડોઝના 42 દિવસ બાદ બીજો વેક્સિનેશનનો ડોઝ આપવાનો નિર્ણય તંત્ર તરફથી લેવાયો છે. સવારથી લાઈનમાં ઉભેલા લોકોને વેક્સિન બૂથ પર પહોંચે ત્યારે આ નિર્ણય અંગે જાણ કરવામાં આવે છે. આ કારણે વેક્સીન લેવા આવનારા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.