નવસારી: દુનિયામાં માનવ અને જીવસૃષ્ટિમાં અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત ગૌ ધાર્મિક સંસ્થા દ્વારા યુકેના 7 શહેરોમાંથી આવેલા NRI અને ફોરેનર્સ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના ઐતિહાસિક દાંડી સુધી સાયકલ યાત્રા યોજી હતી. યાત્રા દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં મદદરૂપ થવા અંદાજે 30 લાખ રૂપિયાનું દાન પણ મેળવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડનમાં કાર્યરત ગૌ ધાર્મિક સંસ્થા દ્વારા માનવ સેવા સાથે જીવસૃષ્ટિને બચાવવા માટેના પ્રયાસો થાય છે. Love all, feed all ના સ્લોગન સાથે ચાલતી સંસ્થા પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે અને લોકોમાં જાગૃતિ લાવવા યુકેના લંડન, લેસ્ટર, ગ્લાસગો, લખપ્રો, વોટફ્રડ, બર્મિંગહામ, માન્ચેસ્ટરથી ફોરેનર્સ અને NRI મળી કુલ 14 લોકોની ટૂકડી ગુજરાત આવી હતી. 


અહીં ગુજરાતના 3 સાયક્લિસ્ટો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી સાયકલ યાત્રા શરૂ કરી, દાંડી પથ મહાત્મા ગાંધીજી જે જે સ્થળોએ રોકાયા હતા, એ સ્થળોની મુલાકાત સાથે જ અહિંસાનો સંદેશ પ્રસરાવતા આજે નવસારીના ઐતિહાસિક દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક પહોંચ્યા હતા. 7 દિવસની યાત્રા દરમિયાન ગૌ ધાર્મિક સંસ્થાના સ્વયં સેવકો દ્વારા ગુજરાતમાં જર્જરિત શાળાઓના સમારકામ અને શાળાઓમાં લાયબ્રેરી શરૂ કરવાના શૈક્ષણિક ઉદ્દેશ્ય સાથે અંદાજે 30 લાખ રૂપિયાનું દાન પણ એકત્રિત કર્યુ છે. 


યાત્રિકોના હસ્તે કનકાપુરા આશ્રમ નજીકની પ્રાથમિક શાળામાં 500 પુસ્તકો આપી લાયબ્રેરીનો પ્રારંભ પણ કરાવ્યો હતો. જ્યારે લોકો જીવ પ્રત્યે અહિંસા અને કરૂણા દાખવે, સાથે જ પર્યાવરણ જાળવણી, નો પ્લાસ્ટિક જેવા સંદેશાઓ પણ લોક માનસમાં વહેતા કર્યા હતા. દાંડી પહોંચવા પૂર્વે સાયકલિસ્ટોએ 2 કિમીની પદયાત્રા કરી ગાંધી મૂલ્યોને જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો.