Gujarat Vidhansabha : ગુજરાતમાં લૂંટવામાં ગરીબોને પણ બાકાત રાખવામાં નથી આવ્યા. હવે ગરીબોના અનાજ પર તરાપ મારવામાં આવી છે. રાજ્યમાં ગરીબોના અનાજની સરેઆમ ચોરી થઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં આજે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અનાજ સગેવગે કરવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો ગૃહમાં રજૂ કરાઈ હતી. જેમાં ખુદ સરકારે કબૂલ્યું કે, રાજ્યના 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર 726 કિલોગ્રામ અનાજનો મસમોટો જથ્થો સગેવગે થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, ગુજરાતના 11 જિલ્લામાં રૂપિયા 2 કરોડ 57 લાખ 986 કિંમતનો અનાજનો જથ્થો સગેવગે થયો છે. આ અનાજ ગરીબો માટે હતું. જે બારોબાર ક્યાં ગયુ એ કોઈને ખબર નથી. અથવા તો સરકાર ખબર પાડવા માંગતી નથી. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિગ્રા સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો છે. તો સાબરકાંઠા જિલ્લામાં 4.77  લાખ કિગ્રા સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો છે. 


ગઈકાલે ગોધરામાં નોંધાઈ ફરિયાદ 
હજી ગઈકાલે જ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આ કૌભાંડ સામે આવ્યું છે. ગોધરામાં ગરીબોનું અનાજ ચાઉં કરી જવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા ઉભી થઈ છે. ડુપ્લિકેટ સોફ્ટવેરના સહારે અનાજ ચાઉં કરી જતાં હતા. આ સમગ્ર મામલામાં ગુજરાતના મોટા નેતાનો અધિકારી પર પોલીસ ફરિયાદ ન કરવા ફોન આવ્યો હોવાની વાતે હડકંપ મચાવ્યો છે. જેમાં આ રેકેટની અંદર જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાની ભલામણ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શ્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખના નામે જિલ્લા પુરવઠા અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો. 82647 11111 મોબાઈલ નંબર પરથી કાર્યવાહી ન કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. ફોન નંબર રામસીભાઈ કરંગીયાનો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગરીબોનું અનાજ ડુપ્લિકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે. પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ ન કરવા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને ફોન આવતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.


સામાન્ય યોજના હેઠળ કૃષિ વીજ જોડાણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્તમ કૃષિ વીજ જોડાણ માટે રાજ્ય સરકાર સદાય તત્પર છે. ખેડૂતોને નવા વીજ જોડાણ માટે ખૂબ જ મામુલી રકમ ચૂકવવાની થાય છે, અન્ય તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલી વીજ જોડાણ સંલગ્ન તમામ વિવિધ યોજનાઓની મંત્રીશ્રીએ ગૃહમાં વિગતવાર માહિતી પૂરી પાડી હતી.