હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબી જિલ્લામાં ગઇકાલના દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોરબી તાલુકાની જો વાત કરીએ તો મોરબી તાલુકાની અંદર દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. જેના કારણે આજની તારીખે મોટાભાગના ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયું છે. આ વર્ષે ખરીફ પાકમાં પહેલા ભારે વરસાદ અને હવે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવું પડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને સતત નુકશાનીના લીધે ખેડૂત અને તેના ખેતર ની પરિસ્થિતિ હાલમાં દાયનીય બની ગયેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે એટલે ખેડૂતોના ચહેરા મલકાતા હોય છે પરંતુ કમોસમી વરસાદ પડે એટલે ખેડૂતોને નુકશાન થાય છે. કેમ કે, ખેતરોમાં તૈયાર થયેલા પાક ઉપર આકાશમાથી કમોસમી વરસાદના રૂપમાં આફત વરસે છે. જેના લીધે ખેડૂતોના પાકને મોટું નુકશાન થતું હોય છે. જો વાત કરીએ ચાલુ વર્ષની તો અગાઉ ચોમાસામાં ભારે વરસાદ પડયો હતો અને તેના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયેલા હતા. જેથી ખેતીના જુદાજુદા પાકોને નુકશાન થયું હતું અને તેવામાં ગઈકાલે મોરબી તાલુકાની અંદર વધુ દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે. 


ગત રાતમાં પણ ધીમીધારે એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો હોવાનું ખેડૂતો હાલમાં કહી રહ્યા છે. જેથી કરીને વધુ વરસાદ પડયો હોવાથી ખેડૂતોના ખેતરની અંદર જે પાક ઉભા હતા તેમાં મોટું નુકશાન થયું છે. મોરબી તાલુકાના જેપુર ગામના ખેડૂતોના ખેતર ની અંદર તલ, કપાસ, મગફળી સહિતના પાકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. 


હાલમાં મગફળીના પાકને ઉપડવાનો હતો. ત્યારે જ કમોસમી વરસાદ થયો હોવાથી ખેતરોમાં કાળી માટી હોવાથી મજૂરો કામ કરી શકે તેમ નથી અને જો હવે મગફળી વધુ સમય સુધી જમીનમાથી ઉપડવામાં નહીં આવે તો મગફળી જમીનમાં જ ઊગી નીકળે તેવું શ્ક્યતા છે. તેવી જ રીતે કપાસનો પાક લેવામાં આવે તે પહેલા જ કમોસમી વરસાદ થવાથી હાલમાં કપાસ પાણીમાં પલળી ગયો છે. જેથી ખેડૂતોને કપાસ કે મગફળીના પૂરા ભાવ મળશે નહીં અને કદાચ કરેલા રોકાણ જેટલું પણ વળતર આ ખરીફ સીજનમાં મળશે નહીં તે હકિકત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube