નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજ સફાઇની કામગીરી ચાલતી હતી. જેમાં 2 કર્મચારીઓ સફાઇ કરવા ઉતાર્યા હતા. જેમાં ટાંકામાં કોઈ પ્રકારના ગેસ ગળતરથી ગૂંગળાઈ જતાં મનપાના એક સફાઈ કામદારનું મોત થવાથી ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં ડ્રેનેજમાં કયા અધિકારીની સૂચનાથી આ કામદાર અંદર ઉતર્યો હતો અને તેમાં જે અધિકારી જવાબદાર હોય તેની સામે પગલાં લેવા પરિવારે માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોના આદેશથી ગટરમાં ઉતારવામાં આવ્યો કામદાર?
ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટમાં બનેલી આ ઘટનાની જાણ મૃતકના પરિવાર અને સમાજ ને થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી હતી. અહીં ભીમ સેનાના આગેવાન એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ ડ્રેનેજ સફાઈમાં કર્મચારીને ગટરમાં ઉતારવા ઉપર મનાઈ કરવામાં આવી છે, ત્યારે આ વ્યક્તિને કોના આદેશથી ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. 


મનપાનો કાયમી કર્મચારી ગૂંગળાઈ જતા મોત
ભાવનગર શહેરમાં મનપા દ્વારા આજે સવારે શહેરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ કરવા બે કર્મચારી ને મશીન સાથે મોકલવામાં આવ્યા હતા, જેમાં ગટર સાફ કરવા સૌ પ્રથમ આઉટ સોર્સથી કામ કરતો સુરેશ નામનો કર્મચારી ગટરના ટાંકામાં ઉતર્યો હતો, જેને ગૂંગળામણ થતા મનપાનો કાયમી સફાઈ કર્મચારી તેને બચવા અંદર ઉતર્યો હતો, જેમાં સુરેશ નામનો આઉટ સોર્સનો કર્મચારી તો બચી ગયો, પરંતુ તેને બચાવવા ઉતરેલ રાજેશ વેગડ નામનો મનપાનો કાયમી કર્મચારી ગૂંગળાઈ જતા તેનું મોત થયું હતું.


લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો
આ ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર બ્રિગેડ ના કાફલા એ બન્ને ને ગટરના ટાંકા માથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા, જેમાં રાજેશ નામના વ્યક્તિને ડોકટરે મૃત જાહેર કર્યો હતો, ઘટના ના પગલે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં ઘટના બાદ લાંબા સમય સુધી મનપા કમિશનર કે કોઈ નહીં આવતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો, ભારે હોબાળા બાદ આખરે કમિશનર, મેયર તેમજ ચેરમન સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.