નરેશ ભાલીયા/જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું એક એવું ગામ કે જે આખું ગામ એક સ્ટોન ક્રશર (ભરડીયા)થી પીડિત છે. ભરડીયામાં નિરંતર બ્લાસ્ટિંગને કારણે ગામમાં ભૂકંપ જેવો અનુભવ થતો હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો હતો અને મોટા ભાગના મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ છે. ઉપરાંત ભરડીયામાંથી ઊડતી ડસ્ટથી ખેતીની જમીનને અને પાકને નુકશાન થતું હોવાથી સમગ્ર ગામલોકોએ મામલતદારને આવેદનપત્ર આપી ભરડીયા વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતીની જમીન પર ભરડીયાની સિમેન્ટ જેવી ડસ્ટ
જાંબુડી ગામના સીમ વિસ્તારમાં આવેલ ભરડીયાને કારણે ગામની મોટા ભાગની ખેતીની જમીન અને પાકને નુકશાન થતું હોવાનું ગ્રામજનોને જણાવ્યું હતું. અહીં બે પાક જ લેવામાં આવે છે તેમાં કપાસમાં તો ભરડીયાની ડસ્ટથી કપાસના ફૂલમાં વલ પડી જાય છે. જેથી કપાસ કાળો પડી જાય છે અને કાળા કપાસની કોઈ લેવાલી જ ન થાય. ઉપરાંત ખેતીની જમીન પર ભરડીયાની સિમેન્ટ જેવી ડસ્ટ બાજી જવાથી કોઈ પાક જ થતાં ન હોવાના આક્ષેપ કર્યા હતા સાથે જ ડસ્ટને કારણે મજૂરો પણ મજૂરીએ આવતા નથી. એટલે ભરડીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી માંગ છે.


બ્લાસ્ટિંગથી ગામમાં ભૂકંપ જેવા ધડાકાના અવાજ 
ભરડીયામાં બ્લાસ્ટિંગથી ગામમાં ભૂકંપ જેવા ધડાકાના અવાજ આવે છે અને સાથે ધૂળનું બવંડર ઉઠે છે અને સમગ્ર ગામ પર જાણે ધુમ્મસ છવાઈ ગયું હોય તેવું વાતાવરણ થતું હોવાનું ગ્રામજનો આક્ષેપ કર્યા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ગામના મોટા ભાગના ઘરોમાં તિરાડો પડી ગઈ છે. પાણીના ભોં ટાંકા પણ લીકેજ થઈ ગયા છે.


રજકણોથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી
ભરડીયાને કારણે સમગ્ર જાંબુડી ગામ ત્રસ્ત છે ખેડૂતોની ખેતીની જમીનને નુકશાન સાથે લોકોના ઘરોમાં તિરાડો પડી ગઈ છે, સાથે જ રજકણોથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે. જેથી આ ભરડીયા વિરુદ્ધ સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માંગ છે. અને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમો ગાંધીનગર સુધી જવાની પણ અમારી તૈયારી છે. જાંબુડી ગામમાં ચાલતા સ્ટોન ક્રશરને કારણે ગામમાં ખેતીને અને મકાનોને નુકશાની થયાનું ગામવાસીઓનું આવેદન અમને મળેલ છે. જે અંગે અમારી કચેરી દ્વારા સ્થળ પર જઈ ખરાઈ કરી તેનો રીપોર્ટ આવ્યે નિયોમોઅનુસાર કાર્યવાહી કરવામાં આવશે.