ગાંધીનગર: રાજ્ય (Gujarat) ના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ માટે રાજ્ય સરકાર (State Government) દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયા આવતીકાલ તા. ૧ ઓકટોબર ૨૦૨૧ના રોજથી શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન (Online) નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી, જયારે ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૧૬/૧૦/૨૦૨૧ સુધી નોંધણી કરાવી શકાશે. 


નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭-૧૨, ૮-અની નકલ, ગામ નમૂના-૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક (Bank) ખાતાની વિગતમાં બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

Price Hike: આવતીકાલથી વધી શકે છે ગેસના ભાવ, ગેસના વધતાં આ જાણો શું-શું થશે મોંઘુ?


ઉલ્લેખનીય છે કે, મગફળી, ડાંગર, મકાઇ તથા બાજરી પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયુ છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર ૮૫૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube