અતુલ તિવારી, અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી T20 મેચમાં 50 ટકા દર્શકોને જ પ્રવેશ અપાશે તેવી સ્પષ્ટતા GCA તરફથી કરવામાં આવી છે. GCA ના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ સત્તાવાર રીતે કરી જાહેરાત કરી. GCA એ કહ્યું કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે, તમામ બેઠક સેનેટાઇઝ કરાશે. અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ જોઈ શકશે તેવા સમાચાર આવ્યા બાદ અચાનક 50 ટકા બેઠકો પર જ દર્શકોને પ્રવેશ અપાશે તેવી સ્પષ્ટતા કરાઈ છે. પ્રધાનમંત્રીના એરપોર્ટ પર રોકાણ બાદ અચાનક આ ખબર સામે આવતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ એક કલાક એરપોર્ટ પર કર્યું રોકાણ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પર એક કલાક રોકાયા હતા. તે વખતે તેમની સાથે સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ પર હાજર હતા. પ્રધાનમંત્રી મોદીના એરપોર્ટ પર રોકાણ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે મોટા સમાચાર આવ્યા. 


GCA ની સ્પષ્ટતા- 50 ટકા દર્શકોને જ પ્રવેશ 
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યાં મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચ દરમિયાન 100 ટકા દર્શકો નહીં પરંતુ કુલ ક્ષમતાના 50 ટકા દર્શકો જ બેસાડવામાં આવશે. કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. GCA ના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ કહ્યું કે કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં રમાનારી તમામ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટે દર્શકોની ક્ષમતા 50 ટકા રાખવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ પ્લેટફોર્મ દ્વારા 50 ટકા ટિકિટ જ ઈશ્યું કરવામાં આવશે. 

અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ટી-20 મેચ (T20 Series) સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ વર્ષના યોજાનારા ટી-20 વર્લ્ડ કપથી (T20 World Cup) પહેલા ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ ટી-20 રેંકિંગમાં પહેલા અને ભારત બીજા સ્થાન પર છે. એવામાં જો બંને ટીમો વચ્ચે મજબૂત પ્રતિસ્પર્ધા જોવા મળી શકે છે.


ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma) ઉપરાંત ઋષભ પંત (Rishabh Pant) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) જેવા તોફાની બેટ્સમેન સામે છે. ત્યારે ઇંગ્લન્ડની ટીમમાં (England Team) પણ કેપ્ટન ઈયોન મોર્ગન, જોસસ બટલ જેવા ધાકડ બેટ્સમેન છે. ઇજા બાદ વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર સૌ કોઈની નજર રહશે. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ પોતાની છાપ છોડવા ઇચ્છશે. ઇંગ્લેન્ડ પાસે પણ જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન અને આદિલ રાશિદ જેવા બોલર છે.


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી-20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 7-7 મેચ જીતી છે. જો કે, ઇંગ્લેન્ડની સામે ગત પાંચ ટી-20 મેચમાં ભારતે ચાર મેચ જીતી છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 19 સપ્ટેમ્બર 2007 માં રમાઈ હતી. જેને ભારતે 18 રનથી જીતી હતી. તે મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટી-20 મેચ 8 જુલાઈ 2018ના રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube