નવનીત દલવાડી/ભાવનગર: ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા એક માત્ર ભાવનગરમાં રેલવે ટર્મિનસ પર મહિલાઓ કુલી તરીકે સેવા આપી રહી છે. રજવાડાના સમયમાં ભાવનગરના મહારાજા દ્વારા 55-60 વર્ષ પહેલાં પ્રથમ રેલવે લાઈન શરૂ થઇ હતી. ત્યારે ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલએ તે સમયે બહેનોને કુલી બનવા માટે તક આપી હતી. સામાન્ય રીતે રેલવે સ્ટેશનો પર પુરુષો કુલી તરીકે કામ કરતા હોય છે, પરંતુ મહિલાઓ પણ પુરુષોની સમોવડી છે, એ પુરવાર કરવા મહિલાઓને ખાસ હક્ક આપી તેઓને પગભર થવામાં મદદ કરી હતી, ભાવનગર ટર્મિનસ મહિલા કુલી માટે રોજીરોટી કમાવવા માટે સહારો બન્યું હોય તેવું એક માત્ર રેલવે સ્ટેશન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના ઉત્કર્ષ માટે કુલી તરીકે મહિલાઓને જવાબદારી.
સમગ્ર વિશ્વમાં મહિલાઓને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે, અને એ માટે વિશ્વ મહિલા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. અને બહેનો માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક યોજનાઓ આપી છે. અને ઘર કામથી લઇને વિમાન ઉડાવવા સુધીના ક્ષેત્રમાં બહેનો અગ્રેસર સ્થાન ધરાવે છે. માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશમાં ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન એક માત્ર એવું સ્ટેશન છે. કે જ્યાં કુલી તરીકે આજે પણ મહિલાઓ કામ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું પ્રથમ રજવાડું સોંપનાર અને ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બહેનોને રોજગારી માટે પ્રધાન્ય આપી અને ફક્ત મહિલા કુલીઓની ભરતી કરવામાં આવી હતું. અંદાજે 55 વર્ષથી ભવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે માત્ર બહેનો જ કુલી તરીકે કામ કરી રહી છે.


લાંબા અંતરની ટ્રેઇનો ની સંખ્યા ઓછી હોવાથી રોજગારીનો પ્રશ્ન. 
ભાવનગર રેલવે ટર્મિનસ પર અગાઉ 30 થી વધુ મહિલાઓ કુલી તરીકે કામ કરતી હતી જેમને સ્પેશ્યલ ઓળખ માટે બિલ્લા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં 8 થી 10 જેટલઈ મહિલા કુલી રેલવેના બિલ્લા ધરાવે છે. રોજગારી પૂરતા પ્રમાણમાં નહી મળવાને લીધે માત્ર ૧૦ જેટલાં બહેનો નિયમિત રેલવે સ્ટેશન ખાતે આવે છે. જોકે તેમાં પણ માત્ર ભાવનગર-બાંદ્રા ટ્રેન એક જ એવી ટ્રેન છે. કે જેમાંથી રોજગારી મળી રહે છે, કારણ કે અન્ય ટ્રેનો સવારે વહેલા ૪ થી ૬ સુધીમાં ઉપડે છે. પરંતુ લાંબા અંતરની ટ્રેનો ઓછી હોવાથી ભાવનગરમાં મુસાફરોની સંખ્યા ખુબ ઓછી હોય છે. ત્યારે રોજગારી મળવી મુશ્કેલ હોવાથી ભાવનગર બાંદ્રા ટ્રેન પર જ મહિલા કુલીઓને નિર્ભર રહેવું પડે છે. મોટાભાગે મુસાફરો પૈડાં વાળી ટ્રોલી બેગ લઈને આવતા પોતાનો સમાન પોતે જ લઇને ચાલ્યા જાય છે. જોકે જે મુસાફર કુલી તરીકે બહેનોને લઇ જાય છે. તેમાં પણ સામાન ટ્રેનના કોચ સુધી પહોંચાડે ત્યારે ૫૦ થી ૧૫૦ સુધીની મજુરી મળે છે. હાલ જે કુલી બહેનો કામ કરે છે. જેમાં ઘરનું ભરણપોષણ થતું ના હોય પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દિવસ દરમિયાન અન્ય દુકાનો પર પાણી ભરવા કે ઘરકામ કરવા જવુ પડે છે.


રેલવેની કુલી મહિલાઓની સહાય માટે સરકારે સન્માનનિધિ જાહેર કરવી જોઈએ.
છેલ્લા 55 વર્ષથી પરંપરાગત રીતે બહેનો કુલી તરીકે કામ કરે છે. કોઈ બહેનો તો એવા છે. કે જેના માતા પણ ભાવનગર રેલવે ટર્મિનલ ખાતે કુલી તરીકે કામ કરતા હતા અને ત્યાર બાદ તેના સ્થાને તેઓ રેલવે ટર્મિનસ પર કુલી તરીકે કામ કરે છે. સમગ્ર દેશમાં માત્ર ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે મહિલા કુલી હોવા છતાં સરકાર કે રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકાની સહાય આપવામાં આવતી નથી. રેલવે દ્વારા કોઈવાર કુલી તરીકે ભરતી કરવામાં આવે છે, અને તેને બીલ્લો પણ આપવામાં આવે છે, જેનો રેલવે દ્વારા વાર્ષિક ચાર્જ પણ વસુલવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગર રેલવે ટર્મિનસ પર કામ કરતી કુલી મહિલાઓને યોગ્ય સહાય મળે એ માટે મહિલા કુલી સન્માનનિધિ આપવી જોઈએ...