અતુલ તિવારી/અમદાવાદ: સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાન આજે 99 એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલમાં થયેલ 98 માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના 26 વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે  દાખલ  હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી. 4 દિવસની સઘન સારવાર બાદ 11 મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. 



તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.  તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ 99 માં અંગદાનની વિગતો જોઇએ તો સાબરકાંઠાના 28 વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ 12 મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે. 



અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ મેડિસીટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યા છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખુબ જ નજીવા દરે થઇ રહ્યા છે. 



આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે આજે પુર્ણ થતું જોવા મળી રહ્યું છે. મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટુંકાગાળામાં ૫ (પાંચ)હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા 2 વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી નિર્ણયના પરિણામે 99 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા ૩૧૫ અંગોથી ૨૯૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.