કચ્છ/ગુજરાત : ગઈકાલે 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા હચમચાવી દે તેવા આતંકી હુમલાની દસમી વરસી હતી. આખા ભારતના લોકોએ આ દિવસને એક દુખદ ઘટના તરીકે યાદ કર્યો હતો. આ કૃત્યને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકીઓ ગુજરાતની દરિયાઈ સીમા પરથી ભારતમાં ઘૂસ્યા હતા, અને મુંબઈ સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે આ હુમલાના એક દિવસ બાદ કચ્છની સરહદ પરથી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી છે. જેને કારણે બીએસએફનું તંત્ર દોડતું થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમા 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનીઓ દરિયાઈ સરહદથી ગુજરાતમાં ઘૂસ્યા હતા. તેમણે પોરબંદરની કુબેર નામની બોટનું અપહરણ કરીને તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા, અને બાદમાં મુંબઈ જવા રવાના થયા હતા. ત્યારે હવે આજે કચ્છના સરહદ પર બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. કચ્છના સરક્રીકના સંવેદનશિલ એવા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાવાથી બીએસએફનું તંત્ર દોડતું થયું છે.  BSFના પેટ્રોલીંગ દરમિયાન ઝડપાઇ પાકિસ્તાની બોટ ઝડપાતા  અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે, બોટમાં કોણ સવાર હતું અને અને ક્યાં ઉદ્દેશથી ભારતીય સીમામાં પાકિસ્તાની બોટ પ્રવેશી તેની સઘન તપાસ શરૂ કરાઈ છે. 


હાલ બીએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.  આ બોટ કેવી રીતે અંદર આવી તેની તપાસ ચાલુ છે. 


ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના આતંકવાદીઓ વર્ષ 2008માં ચાંચીયા બનીને અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા અને પોરબંદરની 'કુબેર બોટ' નું અપહરણ કર્યું હતું. કુબેર બોટમાં રહેલ 6 ભારતીય ખલાસીઓને બંધક બનાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાં 5 ખલાસીઓને મારી તેઓના મૃતદેહને સમુદ્રમાં ફેંકી દીધા હતા. જ્યારે બોટના ટંડેલને મશીનગનના નાળચે મુંબઈ તરફ બોટ લઈ જવા જણાવાયું હતું. મુંબઈનો કિનારો દેખાતા જ બોટના ટંડેલની ગરદન કાપી બોટના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને દફનાવી દીધો હતો. આ ઘટના બાદ કસાબ સહિત 9 આતંકીઓએ બોટને સમુદ્રકિનારે છોડી સીધો 26/11 ના મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો.