જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ઘોઘંબા સ્થિત જીએફએલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ (massive explosion) ની ઘટનામાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. ગઈ કાલે પાંચ કામદારોના મોતની પુષ્ટિ થયા બાદ આજરોજ સવારથી જ એસડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. તે દરમ્યાન વધુ એક લાશ મળી આવતા કુલ મૃત્યુઆંક 6 થયો હતો. જો કે મૃત્યુઆંક હજી પણ વધવાની શક્યતા સેવાઇ રહી છે. કારણ કે, કાટમાળમાંથી હજી પણ મિસિંગ કામદારોની શોધ ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગઈ કાલે થયેલા રિએક્ટર બ્લાસ્ટમાં અત્યાર સુધી પાંચ કામદારોના મોત થયા હતા. જ્યારે કે, બે કામદારો મિસિંગ હતા. જેને પગલે આજે સતત બીજા દિવસે પણ એફડીઆરએફની ટીમ અને જીએફએલની ફાયર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું. જેમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. સર્ચ ઓપરેશનમાં વધુ એક મૃતદેહ મળતા બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જો કે કંપનીમાંથી મળતી માહિતી મુજબ, મૃત્યુઆંકમાં હજુ પણ મોટો વધારો નોંધાઇ શકે છે. હાલ જીએફએલ કંપનીમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.



અત્યાર સુધી જે 6 મૃતદેહો મળ્યાં છે, તેમાં માત્ર એક જ મૃતદેહની ઓળખ છતી થઈ છે. જ્યારે 5 લોકોની ઓળક હજુ સુધી થઈ શકી નથી. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે મૃતદેહની ઓળખ નથી થઈ શકી તેમના  ડીએનએ કરાવવામાં આવશે. જો કે આ ઘટનાને લઈ જે લોકો લાપત્તા છે અને જે મૃતદેહોની ઓળખ નથી થઈ શકી તેમના પરિવારજનોમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે.