કિંજલ મિશ્રા/ગાંધીનગર : ધ્રાંગધ્રા-હળવદનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા પરસોત્તમ સાબરિયા આજે એક હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. પોતાના સમર્થકો સાથે તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા, અને મીડિયાને પણ સંબોધન કર્યું હતું. તેમણે આજે વિધીવત રીતે કેસરીયો ધારણ કર્રયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરસોત્તમ સાબરીયાના ભાજપમાં આવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારનાં મતદારોનો સાથ મળી શકે છે. જોકે, હાલમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોવાથી હવે પરસોત્તમ સાબરીયાને મંત્રી બનાવવાની શક્યતા નહિવત છે. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. 


સાબરીયા પહેલેથી જ ભાજપીય વિચારણસરણીના હતા


  • પરસોત્તમ સાબરીયા ગત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની વિચારસરણીવાળા હતા. પરંતુ કોંગ્રેસે ટીકીટ આપતા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર જેરામભાઈ સોનગ્રા સામે 14 હજાર મતોથી જીત્યા હતા. તે - પરસોત્તમ સાબરીયા છેલ્લા છ મહિનાથી મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં આરોપી હતા અને તાજેતરમાં જ તેમને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. પરસોત્તમ સાબરીયા સામે સિંચાઈ કૌભાંડને વિધાનસભામાં નહી ઉછાળવા માટે પૈસા લીધાનો આરોપ હતો. 

  • એક ચર્ચા મુજબ તેમને સિંચાઈ કૌભાંડમાંથી બચવા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં આવે તેવી ઓફરો થતી રહેતી હતી અને જ્યારે તેમને જામીન મળ્યા ત્યારે જ ભાજપમાં જોડાવાની અટકળો ચાલુ થઇ ગઈ હતી.

  • પાટીદાર આંદોલન સમયે હળવદમાં આંદોલનની સૌથી મોટી અસર હતી અને તેવામાં ભાજપ માટે આ સીટ જીતવી મુશ્કેલ હતી તેવા સમય પરસોત્તમ સાબરીયાને હળવદના કોળી મતદારોને આકર્ષવા માટે ટીકીટ આપવામાં આવી હતી. આમ કોળી અને પાટીદાર બંને મતો મળતા તેઓ હળવદ ધ્રાંગધ્રા બેઠક પરથી વિજયી થયા હતા.

  • પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની મોરબીના ત્રાજપર ગામના સરપંચ તરીકે અગાઉ ચૂંટાઈ આવ્યા હતા. 

  • તેઓ સિરામિક મશીનરીને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છે. 


ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો
તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓ આજે ચાર્જ સંભાળવાના છે. જવાહર ચાવડા સહિત ત્રણેય મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે સાથે ગ્રાહક અને કુટિર ઉદ્યોગ પણ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા વિધી કરીને ચાર્જ સંભાળ્યો હતો.  


નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવાના પ્રયાસ
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા નેતાઓને મંત્રીપદ સોંપવાની વાતથી નારાજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મનાવવાનો પણ પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે. મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.