ઝી ન્યૂઝ/ગાંધીનગર: છેલ્લા 25 વર્ષથી દૂધિયા રાજકારણમાં દબદબો ધરાવતા રામસિંહ પરમારનું એક હથ્થું શાસન આજે ભાજપે પુરું કરી દીધું છે. હવે 15માંથી 13 સભ્યો ભાજપના થઈ જતાં કોંગ્રેસ તો પૂરી થઈ ગઈ છે પણ રામસિંહ પરમાર માટે પણ રસ્તો બંધ થઈ ગયો છે. મૂળ કોંગ્રેસી એવા રામસિંહ પરમારને અમૂલના ચેરમેન ન બનાવાય અને બળવો કરી રાજેન્દ્રસિંહ સાથે હાથ મિલાવે એ ડર પહેલાં ભાજપે આજે વધુ 3 કોંગ્રેસી સહકારી ડિરેક્ટરોને ભાજપમાં જોડીને રામસિંહ પરમારનું દૂધિયું રાજકારણ પુરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે અમૂલના ચેરમેન કોણ બનશે એ ભાજપ ફાયનલ કરશે પણ હાલના સમીકરણો જોતાં રામસિંહ રીપિટ નહીં થાય એ ફાયનલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રામસિંહે દીકરા યોગેન્દ્રને ધારાસભ્ય બનાવી લીધો પણ સહકાર ક્ષેત્રનું રાજકારણ પુરું કરી દીધું છે.  રામસિંહ પરમાર ભાજપમાં હોવા છતાં સ્થાનિક સંગઠનને ક્યાં વાંકું પડ્યું એ હાલમાં સૌથી ચર્ચા તો સવાલ છે. આજે અમૂલની ચૂંટણી પહેલાં ભાજપે મોટો ખેલ પાડીને 3 સહકારી ડિરેક્ટરોને ભાજપમાં જોડ્યા છે. 


આજે કમલમ ખાતે અમુલ ડેરીના 3 ડિરેક્ટરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેમા જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમુલ ડેરીના ડિરેકટર સીતાબેન પરમાર, કપંડવજ અમુલ ડેરીના ડિરેકટર શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમુલ ડેરીના ડિરેકટર ઘેલાભાઇ ઝાલા જોડાયા હતા. 


આમ હવે 15માંથી 13 ડિરેક્ટરો હવે ભાજપ શાસિત પેનલમાં જોડાઈ ગયા છે. એટલે ભાજપ હવે અમૂલના ચેરમેન નક્કી કરશે. ગુજરાતા સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. જે દબદબાને અમિત શાહે એક્ટિવ થઈને હવે લગભગ પૂરો કરી દીધો છે ફેડરેશનમાં પણ મોટાભાગની ડેરીઓના ચેરમેન ભાજપ પ્રેરિત છે.  આજે કમલમમાં રામસિંહ પરમારે પણ હાજર રહીને એક સમયના સાથીઓને હસતા મોંઢે આવકાર્યા હતા.  


ગુજરાતના સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ સૌથી ટોચ પર હોય છે. દૂધિયું રાજકારણ એટલું  ફેલાયેલું છે કે ગુજરાતના 18 હજાર ગામડાઓને સીધી અસર કરે છે. હાલમાં સૌથી મોટી ચર્ચા આણંદની અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારની થઈ રહી છે. અમૂલના ચેરમેન રામસિંહ પરમારને વિધાનસભાની ચૂંટમીમાં ટિકિટ મળી નહોતી પણ દીકરા યોગેન્દ્રને રામસિંહ પરમારને ધારાસભ્ય બનાવી દીધો હતો. આમ ભાજપે ટિકિટ આપી રામસિંહ પરમારનું કોંગ્રેસમાંથી કેસરિયા કરવાનું ઋણ ચૂકવી દીધું છે. હવે ભાજપમાં પણ અંદરો અંદર સહકારી રાજકારણમાં ડખા શરૂ થયા છે. 


કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું છે. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાબદાર છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લવાયા છે. આ સંજોગોમાં આણંદ સંઘમાં રામ સિંહ પરમારનું જૂથ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે ભળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ હતો. હવે પાટીલે આ ખેલ પણ પૂરો કરી દીધો છે. 


અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા એ અમૂલ ડેરી કહેવાય છે. જેમાં 6 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે 2017ની વિદ્યાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો.