ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, મોદી સરકારના રાજમાં પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવે છે. તમામ પ્રકારની ચર્ચા કર્યા બાદ પ્રજાહિતનાં કાર્યો કરવામાં આવે છે. તેની સાથે જ થયેલાં કાર્યોની નિયમિત સમીક્ષા પણ કરવામાં આવે છે. તેમણે રાજ્ય સરકારનાં લક્ષ્યો અને કાર્યો અંગે વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં જણાવ્યું કે, નર્મદા કિનાલનું કામ 2019ના અંત સુધીમાં પુરૂ થાય તે સરકારનું  લક્ષ્યાંક છે. કમાન્ડ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.
 
અત્યારે નર્મદાની સપાટી 120.93 મીટર છે. હવે જે નવું પાણી આવશે તે દરવાજાની પાછળ સંગ્રહ થશે. એટલે દરવાજાને કારણે ડેમ ઓવરફ્લો નહીં થાય. નર્મદા ડેમ માં અત્યારે આખા વર્ષ પીવા માટે ચાલે તેટલું આવી ગયું છે. ગયા વર્ષે રાજ્યના તમામ ડેમમાં 76 ટકા પાણી હતું. આ વર્ષે તેના કરતાં વધારે સંગ્રહ થાય એવી અપેક્ષા છે. અત્યારે ખેડુતોને માટે સિંચાઇ માટે  7 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 


આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ રૂબેલા રસી અંગે વાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં 1 કરોડ 20 લાખ બાળકોને રૂબેલા રસી આપવામાં આવી છે. હજુ 40 લાખ બાળકો રસીકરણમાં બાકી છે, તેને આવરી લેવાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજયના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ દ્વારા પોતાની પ્રોત્રીને  પણ રૂબેલા રસી આપાવી હોવાનો દાવો કરાયો હતો. તેમણે જણાવ્યું કે, રૂબેલા રસીકરણ રાજયમાં વધુ 10 દિવસ વધુ લંબાવવામાં આવશે.


સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપતા નીતિન પટેલે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા કર્મચારીઓને નિયત સમયે જ મોંધવારી ભથ્થું ચુકવવામાં આવશે. જ્યારે પણ ચુકવવામાં આવશે તે એરીયર્સ સાથે ચુકવાશે.
 
ભારત સરકાર સિંચાઇ યોજનાના 99 પ્રોજેક્ટને ગ્રાન્ટ આપે છે. જે અંતર્ગત નર્મદા માટે 730 કરોડ 90 લાખ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે. રૂ.1484 કરોડની ઓછા વ્યાજની લોન 6 ટકાના વ્યાજ દરે મંજૂર કરવામાં આવી છે. આ લોન 15 વર્ષની રહેશે. 


તેમણે જણાવ્યું કે, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ-નાયબ મુખ્યમંત્રીઓની દર મહિને વડા પ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં એક બેઠક મળે છે. આ બેઠકમાં પ્રજાહિતમાં કરવામાં આવેલાં કાર્યોની સમીક્ષા કરવામાં આવે છે. આ સાથે જ જો બીજા રાજ્યમાં કોઈ સારી યોજના બનાવવામાં આવી હોય તે તેનું અનુકરણ  કરવાની પણ અન્ય મુખ્યમંત્રીઓને પ્રેરણા મળે છે. ભાજપ શાસિત રાજ્યો પ્રજાને જવાબદાર છે. અમારી સરકાર પ્રજા પ્રત્યે સીધી જવાબદાર છે.