જયંતિ સોલંકી, વડોદરાઃ વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ મેયર કેયુરભાઈ રોકડીયાએ સંવેદના વ્યક્ત કરવાની સાથે સમસ્યાના નિરાકરણ માટે પશુ નિયંત્રણ કાયદાનું અમલીકરણ અનિવાર્ય બતાવ્યું છે. સાથે રખડતાં પશુઓના કારણે ઈજાગ્રસ્તોને વળતર બાબતે પણ વિચારણા હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતના પગલે લોકો ઈજાગ્રસ્ત થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આજથી શહેરમાં ઢોર પાર્ટીની આઠ ટીમો કામે લગાડવામાં આવી છે. રાઉન્ડ ધી કલોક ઢોર પાર્ટીને કામ કરવાની આપી સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે ટીમો ફિલ્ડમાં ના હોય ત્યારે પશુ માલિકો પશુ છોડતા હતા. હવે ટીમો સતત કામ કરશે, અને પશુ પાલક પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 2011ના સર્વે પ્રમાણે શહેરમાં 18000 પશુઓ નોંધાયા હતા. અત્યારસુધીમાં 14000 પશુઓનું ટેગિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, જાણો


વાઘોડિયા રોડ ઉપર એક વિદ્યાર્થીએ રખડતાં પશુઓના કારણે આંખ ગુમાવ્યા બાદ અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા છે. તદુપરાંત મંગળવારે પણ બાઈક સવાર પરિવારને ગાયે ભેટી મારતા બાઈક ચાલક અને છ વર્ષની બાળકીને ઈજાઓ પહોંચી હતી. આ અંગે મેયર કેયુર ભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ઘટે છે અને તેમાં ઇજાગ્રસ્ત લોકો બાબતે તંત્રને સંવેદના છે. વડોદરા કોર્પોરેશન શક્ય તેટલી કામગીરી કરી રહ્યું છે. પશુ નિયંત્રણ કાયદો અમલમાં આવે તો રાહત મળવાની શક્યતા છે. વળતર બાબતે હાલ ધારાધોરણ નથી તે અંગે ચર્ચા વિચારણા કરીશું.


વડોદરા શહેરમાં વડોદરાના નાગરિકોને પાલિકાના તંત્રની બેદરકારીના કારણે ઇજા પહોંચે તો વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઇજાગ્રસ્તોને વળતર આપવું જોઈએ. તેવી માંગ કોર્પોરેશનમાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી હતી. તેમણે કહ્યું કે,  ઇજાગ્રસ્તને જે રીતે ઇજા પહોંચી હોય તે રીતે તમામને વડોદરા પાલિકા દ્વારા વળતર આપવું જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube