હર્મેશ સુખડિયા/અમદાવાદ: રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ દ્વારા બે બાળકીઓને માર મારવાનો મામલો ગરમાયો હતો. બોર્ડના મેમ્બરો અને ક્લબના સત્તાધીશોએ અનેક મિટીંગો કર્યા બાદ આખરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ક્લબના મેનેજર અમીતભાઇ પટેલે કોચ સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. ક્લબના લીગલ ઓપિનિયન બાદ આ નિર્ણય લેવાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કલમમાં છ માસની સજાની જોગવાઇ હોવાનું પણ પોલીસે ઉમેર્યું હતું. તો સાથે સાથે સવાલ ઉભો એ થાય છે કે બાળ સંરક્ષણ વિભાગને પોલીસે આજે સાંજે રિપોર્ટ આપ્યો હતો કે, વાલીઓ આ મામલે કોઇ કાર્યવાહી કરવાની મનાઇ કરી રહ્યા હતા. તો પોલીસે કોઇ કાર્યવાહી કરવાની થતી નથી. તો ગણતરીના કલાકોમાં જ પોલીસે કોના ઇશારે ફરિયાદ નોંધી અને કેવી રીતે આ નિર્ણય લેવાયો તે સવાલો ઉભા થયા છે.


ક્લબે રાત્રે એકાએક ફરિયાદ કરવાનો નિર્ણય લીધો
બંનેએ એવું નિવેદન આપ્યું હતું કે સ્વિમિંગ કોચે હાથમાં દોરી રાખી હતી અને બાળકીઓને સ્વિમિંગ ટ્રીક શીખવાડતા હતા. દરમિયાન પોલીસ ફરિયાદ દાખલ થયા પછી એસીપી આશુતોષ પરમારે કહ્યું હતું કે, રાજપથ ક્લબે કાનૂની અભિપ્રાય લેવાનો બાકી હતો એટલા માટે અત્યાર સુધી ફરિયાદ દાખલ થઈ ન હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે સ્વિમિંગ કોચને આરોપી બનાવવામાં આવ્યો છે. ગણતરીના કલાકોમાં જ વસ્ત્રાપુરના પીઆઇ એમ.એમ. જાડેજાએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને પ્રગતિ અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં ક્લબે હાર્દિકને સસ્પેન્ડ કર્યાનો ઉલ્લેખ કરી નોંધ્યું હતું કે, બાળકીના માતા-પિતાને પોલીસ ફરિયાદ કરવી નથી માટે પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. આમ કોચને પાંચ કલાકમાં ક્લિનચીટ મળી ગઈ હતી.