અજય શીલુ/પોરબંદર :પોરબંદર (Porbandar) ના દેગામ ગામે એક અકસ્માતમાં માસુમ ભૂલકાઓનો જીવ ગયો છે. કાર ચાલકે ટક્કર મારતાં બે બાળકોના મોત નિપજ્યા છે. પગપાળા જતા બે બાળકોને કાર ચાલકે કચડ્યા હતા. અકસ્માત (accident) બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરથી 8 કિલોમીટર દૂર આવેલ દેગામ ગામ પાસે આ ઘટના બની હતી. ગામના ચામુંડા મંદિર પાસે સવારે ભાઈ-બહેનો શેરી શિક્ષણ માટે નીકળ્યા હતા. 14 વર્ષની આરતી રમેશભાઈ ગોહેલ તેના પિતરાઈ ભાઈ મીત ગોહેલને લઈને શેરી શિક્ષણ માટે નીકળી હતી. આ સમયે રોડ પર સામેથી GJ-01-HS-0188 નંબરની ઈનોવા કાર તેમની તરફ ધસી આવી હતી. ત્યારે કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ભાઈ-બહેનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 



આ વાતની જાણ થતા જ ગામના લોકો દોડી આવ્યા હતા. કાર ચાલકે બેકાબૂ રીતે કાર હંકારીને પહેલા તો બંને બાળકોને કચડ્યા હતા. બાદમાં કાર ખેતરની દિવાલ તોડીને અંદર ખૂસી ગયા હતા. કારચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી (hit and run) ગયો હતો. આ બનાવને પગલે બાળકોના માથા પર આભ તૂટી પડ્યુ છે.