અત્યારના સમયમાં મિલકત ઊભી કરવી એ એક પડકાર ભર્યું કામ બની ગયું છે. આટલી મોંઘવારીમાં મિલકત લેવી એ લોઢાના ચણા ચાવવા જેવું બની જાય છે. એમાં પણ પાછી જ્યારે મિલકત લઈએ ત્યારે જે કોઠા કબાડા જેવા કામકાજ કરવામાં આવે ત્યારે જાણે અજાણ્યે મોટી મુશ્કેલીમાં પણ મૂકાઈ જવાનો વારો આવે છે. મિલકતના દસ્તાવેજની નોંધણી સમયે બોગસ દસ્તાવેજ થવાનું ધ્યાનમાં આવતા રાજ્યના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નીરિક્ષકે એક પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વ્યક્તિએ પણ બંને પક્ષકારોની ખરાઈ કરવાની જવાબદારી લેવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાઈ કરવા અંગેનો પરિપત્ર જાહેર કરાયો


મિલકત ખરીદી લીધા બાદ તેના દસ્તાવેજની નોંધણી કરવાનો સમય આવે છે ત્યારે મિલકત વેચનાર વ્યક્તિ અને ખરીદનાર એમ બંને પક્ષકારોના પાસપોર્ટ સાઈઝના ફોટા, અંગૂઠાનું નિશાન, હસ્તાક્ષર અને બાયોમેટ્રિક્સ વગેરે નમૂના લેવામાં આવે છે. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓમાં મૂળ માલિકના બદલે ખોટી વ્યક્તિ દ્વારા બોગસ દસ્તાવેજ કરવાના મામલા ધ્યાનમાં આવે છે. જેને પગલે પક્ષકારોની ખરાઈ કરવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યાં મુજબ દસ્તાવેજ તૈયાર કરનારી ખાનગી વ્યક્તિ, એજન્સી કે વકીલે પોતે પોતાના તરફથી એક ફોર્મ તૈયાર કરીને દસ્તાવેજ સાથે એટેચ કરવાનું રહેશે. ફોર્મમાં જેનો દસ્તાવેજ નોંધણી કરાવવાનો છે તે મિલકતનું વર્ણન, દસ્તાવેજનો પ્રકાર, ખરીદી કિંમત, દસ્તાવેજ જેણે તૈયાર કર્યો છે તેનું નામ અને સરનામું, ફોન નંબર, કામકાજ ઉપરાંત ખાતરીપૂર્વકની બાંયેધરી પણ લખી આપવાની રહેશે. 


સાત વર્ષની જેલની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે


વધુમાં તેમાં દસ્તાવેજ અને સાથે જોડાનાર ફોર્મમાં ઉલ્લેખ પણ કરવાનો રહેશે કે જો વિગતો ખોટી જણાશે તો નોંધણી અધિનિયમ મુજબ સાત વર્ષની જેલની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે. આ ફોર્મ તથા દસ્તાવેજ તૈયાર થાય પછી તેને નોંધણી ક રાવવા માટે નોંધણી કચેરી જવાનું રહેશે. જો મૂળ માલિકને બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો તેવા સંજોગોમાં દસ્તાવેજ તૈયાર કરનારી વ્યક્તિ પણ જવાબદાર ગણાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube