ગૌરવ દવે, રાજકોટઃ ભાજપના કેન્દ્રિય મોવડી મંડળે દેશના ઈતિહાસમાં પહેલીવાર નો રિપીટ થિયરી અપનાવીને સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સરકારના તમામ મંત્રીઓને બદલીને આખી નવી સરકારને રાજ્યના સંચાલનની જવાબદારી સોંપી છે. વિજ્ય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ ગુજરાતમાં નવું મંત્રી મંડળ બન્યું. છેલ્લાં 65 દિવસથી અમદાવાદના ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદરી સંભાળી રહ્યાં છે. જોકે, રાજકોટ ભાજપ માટે હજુ પણ વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નામની તખતી આ સમગ્ર વિવાદનું કારણ બની હતી. સવાલ એ પણ છેકે, તખતી બનાવતી વખતે શું ખરેખર ભૂલથી વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી લખાઈ ગયું હતું કે, પછી જાણી જોઈને આ પ્રકારનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ઘીરે ધીરે ખુલીને સામે આવી રહ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અમે નથી કહી રહ્યાં પણ રાજકોટ ભાજપ દ્વારા લગાવવામાં આવેલી તખતીથી આ ફલિત થાય છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પર લગાવવામાં આવેલી તખતીમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી ગણાવીને નામ લખવામાં આવ્યું હતું. આ તખતીને કારણે નવો વિવાદ ઉભો થયો છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ આખરે રાજકોટ ભાજપના નેતાઓની પોતાની ભૂલ સમજાઈ છે. અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વાળા નામની તખતીને હટાવીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રકારનું નામાંકરણ કરીને તાત્કાલીક નવી તખતી લગાવવામાં આવી.
 


મહત્વનું છેકે, રાજકોટ ભાજપની ટીમે ભગો વાળતા આ નવો વિવાદ છેડાયો હતો. જોકે, ઝી 24 કલાકમાં આ અહેવાલ પ્રસારિત થતાની ગણતરીની મિનિટોમાં જ રાજકોટ ભાજપનું તંત્ર દોડતું થયું હતું. અને આખરે વિજય રૂપાણીના નામ વાળી તખ્તીમાં મુખ્યમંત્રીની આગળ પૂર્વ લખવામાં આવ્યું. 

આ પહેલાં હાલમાં જ રાજકોટમાં સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં પક્ષમાં ચાલતો આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયેલો જોવા મળ્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્ટેજ ઉપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ધારાસભ્ય ગોવિંદ પટેલ પહોંચ્યા હતા, બન્ને વચ્ચે કંઈક વાતચીત શરૂ થઈ હતી, તેવામાં સ્ટેજ પર વિજયભાઈ સાથે કાંઈક ચર્ચા કરે તે સમયે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પહોંચ્યા હતા. ત્યાં જ વિજયભાઈએ રામભાઈને બેસી જવા જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તા.20ના રોજ ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે સી.આર.પાટીલ સાથે બીજા સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છતાં તે પહેલા સંગઠનનું સ્નેહમિલન સોમવારે સાંજે 6 વાગ્યે રિંગ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસો થયા હતા.