ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં 8 વર્ષના પુત્રને પિતાએ માર મારતા તેનુ મોત થયું છે. નંદનવન સોસાયટીમાં ચોકીદારી કરતા શખ્સે પોતાનો દીકરો તોફાન કરતા તેને ફટકાર્યો હતો. જેમાં બાદમાં પિતા મારવા દોડતા તે પડી ગયો અને રાત્રે દુખાવો ઉપાડતા હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે બાળકના પિતાની પૂછપરછ શરૂ કરી અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રાણી ટાવર પાસે નંદનવન સોસાયટી આવેલી છે. જ્યા સોસાયટીમાં સિદ્ધરાજ ભૂલ નામના નેપાળી શખ્સ ચોકીદારી કરે છે. તેમનો પરિવાર આ સોસાયટીમા જ રહે છે. તેમને સંતાનમાં 8 વર્ષનો દીકરો સૌરભ છે. ગઈકાલે સાંજે નાનકડો સૌરભ જમવા બેસતો ન હતો અને પોતાનું કહ્યુ માનતો ન હતો તેથી સિદ્ઘરાજે પોતાના દીકરીને લાકડીથી ફટકાર્યો હતો. જમ્યા બાદ પણ સૌરભે વધુ મસ્તી કરતા પિતાએ તેને ફરીથી ફટકાર્યો હતો. સૌરભ દોડતો હતો ત્યારે પિતાએ તેને પાછળથી માર્યો હતો, જેથી તે પડી ગયો હતો અને ઈજા થઈ હતી. 


જોકે, બાદમાં રાત્રે સૌરભની તબિયત બગડી હતી. જેથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને તેના માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તો પિતા પણ હેબતાઈ ગયા હતા. 


સૌરભ સાંજે રમતાં રમતાં પડી જતાં માથા અને શરીરે ઇજાઓ થઈ હોવાથી બેભાન થઇ ગયાનું તબીબોના ધ્યાનમાં આવ્યું હતું. તબીબોએ મૃતદેહનું નિરિક્ષણ કરતાં તેના શરીર પર અસંખ્ય ઈજાના નિશાન મળી આવ્યા હતા. તેના પડખામાં, જમણા સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે, ડાબા પગના સાથળ પાસે, ડાબા સાથળ પાસે તેમજ બીજા ભાગોમાં માર મારવામાં આવ્‍યો હોય તેવા ઇજાના નિશાન જોવા મળ્યા છે.