હિતલ પારેખ, ગાંધીનગર: રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા. આ અગ્નિકાંડમાં તપાસનો દોર યથાવત છે. એસઆઈટીની પૂછપરછનો આજે ત્રીજો દિવસ છે. આજે એસઆઈટી કર્મચારી-અધિકારીઓની પૂછપરછ કરશે. ગાંધીનગર ખાતે રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટ મનપા તથા પોલીસના કર્મચારીઓ, અધિકારીઓની પૂછપરછ થશે. રાજકોટ ના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ થઈ શકે છે. રાજકોટ અગ્નિકાંડમાં કર્મચારીઓ બાદ અધિકારીઓની પણ પૂછપરછ નો દોર જોવા મળશે. જો કે આ ઘટનામાં રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂછપરછથી અધિકારીઓ નારાજ કેમ?
રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને બોલાવવાની વાતથી તેઓ નારાજ થયા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્નિકાંડ દરમિયાન તત્કાલીન આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. તત્કાલીન અધિકારીઓને વેઇટિંગ પર પોસ્ટિંગ પર મુકાતા આઈએએસ અને આઇપીએસ એસોસિએશન સમક્ષ પણ નારાજગી વ્યક્તિ કરી હોવાની જાણકારી મળી રહી છે. 


તપાસનો ધમધમાટ
અત્રે જણાવવાનું રાજકોટ અગ્નિકાંડની ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એસઆઈટી દ્વારા ગઈ  કાલે 6 લોકોના નિવેદન લેવાયા હતા. રાજકોટ મહાનગર પાલિકા, ફાયર વિભાગ તથા બે પીઆઈના નિવેદન લેવાયા હતા. એસઆઈટી તબક્કાવાર પુછપરછ યથાવત રાખશે. એસઆઇટીના સભ્યોમાં અધ્યક્ષ સુભાષ ત્રિવેદી, આઈએએસ અધિકારી બંછાનિધિ પાની, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા સામેલ છે. 



ઘટના અંગે આમ આદમી પાર્ટીએ પણ કર્યા હતા પ્રહાર
રાજકોટ આગકાંડ મુદ્દે આમ આદમીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઈટાલિયાએ ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  જેમાં આમ આદમી પાર્ટીએ સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે મોટા ભાગની ઘટનાઓ બાદ ભાજપ એક આયોજન પૂર્વક ઘટનાઓ ભુલાવી દેવામાં સક્રિય થઇ જાય છે. ભાજપ અને અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન છે. સીટ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે પોતાના અધિકારીઓ અને નેતાઓને બચાવી લેવાનું સશ્ત્ર એટલે SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટિમ). જયારે જયારે કોઈપણ ઘટના બને એ સાથે "કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે" કહી તપાસનું પિંડલુ વાળી દેવામાં આવે છે.


વધુમાં એમ પણ કહ્યું કે જયારે જયારે ભાજપના નેતા અને અધિકારીઓ દ્વારા ઘટના કે ગુનો બને એટલે SIT ના નામે ઘટના ભુલાવી દેવામાં આવે છે. આજદિન સુધી એકપણ ઘટનામાં SIT દ્વારા કોઈજ આકરી કાર્યવાહી કરવામાં નથી આવી. દરેક SITના હેડ સુભાષ ત્રિવેદીને જ કેમ સોંપાય છે. રાજકોટ ઘટનામાં પણ SIT નામનું ષડયંત્ર કરાઈ રહ્યું છે. ગુજરાતે 156 બેઠકો આપી હોવા છતાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે. SITના નામે જ્યાં તપાસ કરાઈ અને ભુલાવી દેવાઈ, એ તમામ પીડિતોને આપના આગેવાનો રૂબરૂ મળશે. અમે ભોગ બનનારને પૂછીશું કે SIT બન્યા બાદ શું તમને ન્યાય મળ્યો ??


અધિકારીઓ જ કેમ? નેતાઓ પણ એટલા જ જવાબદાર
પાર્ટીએ એમ પણ કહ્યું કે રાજકોટ ગેમિંગ આગકાંડમાં ફક્ત અધિકારીઓને જ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. બધું ખોટું બહાર આવે તો અધિકારીઓને આગળ કરી દેવાય છે. રાજકીય છત્રછાયા વગર અધિકારીઓ કંઈજ કરી શકે એમ નથી. આ ઘટનામાં ભાજપના નેતાઓ પણ એટલાજ જવાબદાર છે. અધિકારીઓ ઉપરાંત નેતાઓ સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ