રક્ષિત પંડ્યા, રાજકોટ: ખેડૂતો ને મગફળીના બજાર કિંમત કરતા વધુ ભાવ મળી રહે તે રાજ્ય સરકાર દ્વારા ૧લી નવેમ્બરથી પ્રતિ 20 કિલો 1018 રૂપિયાના ભાવે ટેકાના ભાવથી મગફળી ખરીદ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ૧લી નવેમ્બરથી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 82400 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે જે ખેડૂતોની મગફળીની ખરીદી તાલુકા પ્રમાણે 18 કેન્દ્રો પર ખરીદ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસ પહેલા રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને મગફળીની ખરીદી માટેની એક રીવ્યુ બેઠક મળી હતી. જે બેઠકમાં મગફળી ખરીદી માટે બોલાવવામાં આવતા ખેડૂતોની સંખ્યા બમણી કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે એક તાલુકામાંથી એક દિવસમાં 100 ખેડૂત ને મેસેજ અને ફોન કરી બોલાવવામાં આવે છે. જે પૈકી 75 થી 80 ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં 82400 ખેડૂતો પૈકી 23,000 થી વધુ ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે.

સરકાર દ્વારા ખરીદવામાં આવેલ ટેકાના ભાવની મગફળીની કિંમત પણ સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવે છે. જેમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 99 કરોડ જેટલી રકમ ખેડૂતોને ચૂકવી આપવામાં આવી હોવાનું પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડા એ જણાવ્યું હતું. સાથે જ રાજકોટ જિલ્લામાં તમામ 18 કેન્દ્રો પર રાબેતા મુજબ નિયમ મુજબ સારી રીતે ખરીદી થતી હોવાનું જણાવ્યું હતું.


રાજકોટ અને આસપાસના માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા મગફળીનું વેચાણ કરવામાં આવે તો તેને છૂટક બજારમાં 66 નંબરની મગફળી બાદ કરતાં તમામ મગફળીના પ્રતિ 20 કિલો માત્ર 700 થી 900 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે આ વર્ષે સરકાર દ્વારા 1018 રૂપિયા ટેકાના ભાવે ખરીદ કરતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. યાર્ડમાં દલાલ , વેપારીના કમિશન અને મજૂરો ની મજુરી સહિત ખર્ચ બાદ કરતાં ખેડૂતોને ઓછા રૂપિયા મળે છે જેની સામે ટેકાના ભાવે છૂટક બજાર કરતા વધુ મગફળીના ભાવ મળે છે અને દલાલ કે વેપારીનું કમિશન કે મજુરી આપવાની રહેતી નથી. આ ઉપરાં એક સાથે 2500 કિલો મગફળી સરકાર ખરીદ કરે છે જે સીધો લાભ ખેડૂતોને થતો જોવા માલર છે અને આ માટે ખેડૂતો સરકાર નો આભાર પણ માની રહ્યા છે.. 


શુ છે ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા.?
પ્રથમ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેના આધારે સરકાર દ્વારા ખેડૂતોને તેમનો વારો આવ્યે એના આગલા દિવસે ફોન અને મેસેજ કરી જાણ કરવામાં આવતી હોય છે અને બાદમાં બીજા દિવસે ખરીદ કેન્દ્ર પર ટોકન મુજબ તેમની પાસેથી મગફળી ખરીદ કરવામાં આવે છે.. ખેડૂત પોતાની મગફળી લઇ અને કેન્દ્ર પર પહોંચે ત્યાં તેમની પાસેથી નાફેડના ગ્રેડર દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવતું હોય છે જેમાં ઉતારો , કચરો અને ભેજનું પ્રમાણ માપવામાં આવતું હોય છે. જે સેમ્પલ પાસ થયા બાદ તેમની માગફળી ખરીદી તેમને નજીકના ગોડાઉન માં મુકવામાં આવે છે અને તેના રૂપિયા ખેડૂતો ઓનલાઇન તેના બેંક ખાતામાં આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube