રાજકોટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે 187 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજકોટ શહેર આજી નદીના પૂર્વ અને પશ્ચિમ બેય કાંઠે ઝડપી વિકાસને કારણે વિકસ્યું છે. એટલું જ નહિ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી પણ પ્રગતિમાં છે. 
    
શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના પશ્ચિમ કિનારે આવેલું અતિ પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવા માટેની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાએ 11 કિ.મી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી અતિ પ્રાચીન રામનાથ મંદિરના ડેવલપમેન્ટ સાથે સુસંગત કરવાની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે રજૂ કરી હતી. 


આ પણ વાંચોઃ કેટલાક લોકો શાંત પાણીને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે, રાજકોટમાં બોલ્યા સીઆર પાટિલ
    
મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આગવી ઓળખ ઘટકના આ કામોને અનુમોદન આપ્યું છે. આના પરિણામે હવે ર૦રર-ર૩ના વર્ષમાં રૂ. ૧૮૭ કરોડ પ્રથમ ફેઇઝમાં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. રાજકોટ મહાનગરપાલિકા હવે શ્રી રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરશે તથા ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ માટેની જગ્યા પણ રાખશે. 
    
આ ઉપરાંત આજી નદીમાં મંદિરની પાછળના ભાગમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવાશે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને કારણે રાજકોટમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અને અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો ઝડપથી સાકાર થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube