ગૌરવ દવે/ રાજકોટ: રાજ્યમાં આજકાલ રમવાની ઉંમરે બાળકો આપઘાત કરવાના કેસ વધી રહ્યા છે. હજુ સાંબરકાઠામાં 9 વર્ષીય બાળકીએ બારીની ગીલ સાથે દૂપટ્ટો બાંધી આત્મહત્યા કર્યાની શાહી હજુ સૂકાઈ નથી તેવામાં રાજકોટમાં ધોરણ.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલીએ પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા હાલ મોટા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. આટલી નાનીવયે જિંદગી સમજવાના બદલે તેઓને એવી કેવી મુશ્કેલીઓ કે મજબૂરી નડી રહી છે કે તેઓ તેમના જીવ આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની આ ઘટનામાં પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તે અવસરનો લાભ લઈને 10 વર્ષીય ખુશાલીએ આપઘાત કર્યો હતો. બેભાન હાલતમાં ખુશાલીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા કપિલભાઈ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે પરિવાર સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રવિવારે નાનાવામાં રહેતા કૌટુંબિકને ત્યાં ધાર્મિંગ પ્રસંગમાં જવા તમામ લોકો તૈયાર થયા હતા. ખુશાલીને પણ આવવા જણાવ્યું તો તેને ના પાડી લીધી હતી. ત્યારબાદ પરિવાર કાર્યક્રમમાં નીકળી ગયો હતો.


અમે બપોર પછી ઘરે આવ્યા હતા. જ્યાં ઘરના દરવાજો બંધ હતો. અમે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ખુશાલીએ ખોલ્યો નહોતો, જેના કારણે અમે ઘરની પાછળની બારીએ જોવા ગયા હતા. ત્યારે ખુશાલીને લટકતી હાલતમાં જોઇ હતી. આ દ્દશ્ય જોયા પછી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં દરવાજો તોડીને ખુશાલીને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તે પહેલા પુત્રીનું મોત નીપજ્યું હતું. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.


10 વર્ષીય ખુશાલીના પરિવાર વિશે
ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવનાર ખુશાલીના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. 10 વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.5માં ભણતી હતી. પત્ની પણ આર્થિક મદદરૂપ થવા દેરાસરમાં કામ કરે છે.