નવરાત્રિમાં મા શક્તિને પૂજવાનો અનોખો મહિમા છે ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા પૌરાણિકમાં અનોખી રીતે હરસિદ્ઘી માતાની ભક્તિ થાય છે. 418 વર્ષ જૂનું આ મંદિરમાં બિરાજમાન હરસિદ્ધી દેવી રાજપૂતોની કુળદેવી છે. ત્યારે આ મંદિરમાં રાજપૂત યુવાનો તલવારબાજીથી માતાને રિઝવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજપૂતોની કુળદેવી કહેવાતી હરસિદ્ઘી માતાનું એક મંદિર ઉજ્જૈનમાં છે, અને બીજું નર્મદાના રાજપીપળામાં આવેલું છે. એક લોકવાયકા મુજબ, રાજવી વેરીસાલ સાથે હરસિદ્ધી માતા ઉજ્જૈનથી રાજપીપળા આવ્યા હતા. રાજપૂતોને હરસિદ્ધી માતામાં અપાર શ્રદ્ધા છે. છેલ્લાં 5 વર્ષથી આસો સુદ છઠના રોજ આ મંદિરમાં રાજપૂત યુવાનો આરતીના સમયે તલવારબાજી કરીને શૌર્યનું અનોખું પ્રદર્શન કરે છે. આરતીના સમયે અહીં થતી તલવારબાજી જોવા માટે અહીં હજારો લોકોની ભીડ જામે છે. 


અહીંના 122 જેટલા યુવાનો છેલ્લાં પાંચ વર્ષથી તલવારબાજી કરીને રાજપૂતોના શૌર્યનું પ્રદર્શન કરે છે. તેમની આ તલવારબાજી સૌને દંગ કરે તેવી છે. માતાની આરતી તેનાથી જ શરૂ થાય છે. 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનો એકસાથે આરતીની ધૂનમાં તલવાર ચલાવે છે. ત્યારે અહીં અનોખું દ્રશ્ય સર્જાય છે. 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી 3 મહાઆરતીમાં 122 જેટલા યુવાનોએ આ વર્ષે તલવારબાજી કરી હતી. 


તલવાર રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે. ક્ષત્રિયોની નિશાની કહેવાય છે. આ વર્ષે કરાયેલી મહાઆરતીની વિશેષતા એ હતી કે, માત્ર નર્મદા જિલ્લામાંથી જ નહિ, પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ પણ આ આરતીમાં ભાગ લીધો. 5 જિલ્લાના યુવનોએ તલવારબાજી કરી હતી. છેલ્લાં 4 મહિનાથી આ આરતી માટે તલવારબાજી શીખવાની તૈયારી કરાઈ હતી. 


રાજપૂત યુવક હરદીપસિંહ માટીડાએ કહ્યું કે, રાજા રજવાડી સમયથીજ ક્ષત્રિયોના સાહસમાં તલવારનું અદકેરું મહત્વ છે. નર્મદા જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓનું માનવું છે કે, રાજપૂતોની નિશાની ગણતી તલવારબાજી આજે લુપ્ત થઇ રહી છે. પરંતુ આ લુપ્ત થતી તલવારબાજીને અમે અમે માના આશીર્વાદ સાથે જોડી. છેલ્લા 5 વર્ષથી યુવાનો દ્વારા માતાની તલવારઆરતી થાય છે. આ વર્ષે આજુબાજુના 5 જિલ્લાના 12 તાલુકાના 122 યુવાનોને પણ જોડી અમે બતાવ્યું કે, શૌર્ય રાજપૂતોના જન્મથી જોડાયેલું છે.