ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર નહીં નીકળે અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવશે. રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવશે નહીં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો.



શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત?
અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 29 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.



રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.



પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.



કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી.