ગાંધીનગરઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી બની રહે તે માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યના તમામ લોકોને સુરક્ષા મળી રહે અને પોલીસ પોતાની સારી કામગીરી કરી શકે તે માટે આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના 33 જિલ્લાઓ અને મહાનગરોમાં રૂપિયા 300 કરોડના ખર્ચે સીસીટીવી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે રાજ્યના છેવાડાના માનવીને ન્યાય મળી રહે તે માટે પોલીસને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી બતી. નશાબંધી અને ગૌહત્યા પ્રતિબંધના કાયદાનો કડક રીતે અમલ થાય તેમ પણ પોલીસ અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. આ સાથે પ્રદીપસિંહ જાડેજાએ ભાનુશાળી અને નલીન કોટડિયાને ભાજપની સરકાર છાવરી રહી છે તેવા આક્ષેપો ફગાવ્યા હતા. 


આજે ગાંધીનગરમાં પોલીસ અધિકારીઓની ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમીક્ષા કર્યા બાદ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, દરેક શહેરોમાં ટ્રાફિકના નિયમોનો અસરકારક રીતે અમલ થાય તે માટે શહેરી સત્તા મંડળો સાથે કો-ઓર્ડિનેટ કરીને કામ કરવાની સાથે જ્યાં જ્યાં ટ્રાફિક વધારે છે તે જગ્યાને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી છે. 


મોબ લિન્ચિંગ અંગે પ્રશ્ન પૂછતા પ્રદીપસિંહે કહ્યું કે, સરકાર તમામ બદીઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. વિકાસના પંથે આગળ વધી રહેલા ગુજરાતને આ બદીઓ પોસાય તેમ નથી. આ સાથે સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાવશે તેની વિરુદ્ધ સાયબર ક્રાઇમ અને આઈપીસીની કલમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં 5600 કરતા વધુ પોલીસ જવાનોની ભરતી કરવામાં આવશે.