રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છનાં માતાના મઢ મધ્યે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દીને પતરી વિધિ કરવામાં આવી હતી. 450 વર્ષથી થતી આ વિધિ માટે ઐતિહાસિક ક્ષણ હતી. આ વર્ષે બે વખત પતરી વિધિ યોજવામાં આવી હતી. સવારના સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુમંતસિંહ જાડેજા દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ કુળદેવી આશાપુરા માતાના માતાના મઢ મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજવામાં આવી હતી. કચ્છનાં સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુમંતસિંહ જાડેજાએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. આ પૂર્વે ચાચરાકુંડથી ચામર યાત્રા પણ નીકળી હતી. તો પ્રીતિદેવી મહારાણી અને પરિવારે પણ પાંચમના જ ચાંમર યાત્રા કાઢી હતી. 


આ પણ વાંચો : હવેથી કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો ઓર્ડર


શા માટે અને કેવી રીતે થાય છે પતરી વિધિ
બે ઋતુનાં મિલન સમયે થતું પરિવર્તનમાં એક સાધના દ્વારા માતાજીને રીઝવવા માટેના પ્રયત્ન કરાય છે અને આ ઋતુ બદલવાના કાળ દરમ્યાન આશાપુરા માતાજીના નવ દિવસની નવરાત્રીમાં આજે હોમ હવન બાદ પતરી વિધિ કરવામાં આવે છે. જેના દ્વારા માતાજીના આશીર્વાદ મળે છે. આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે છે અને તે બાદ ચાચરા ભવાનીના મંદિરમાં પૂજા કરે છે. ત્યાર બાદ આશાપુરા માતાજીના મંદિરમાં માતાજીનો ભુવો પતરી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાજાઓ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પતરી મહરાજાઓના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે. 


સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો, યુવતીએ ગરબામા ધુમાડા ઉડાવીને સિગારેટ પીધી


પહેલીવાર બે વાર પતરી વિધિ થઈ
450 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યું કે, માતાના મઢ ખાતે એક સમયે બે વાર પતરી વિધિ થઈ છે. સવારે મહારાવના નાના ભાઈ હનુમંતસિંહ જાડેજાએ પતરીવિધિ કરી પ્રસાદ ઝીલ્યો હતો. તો ત્યાર બાદ બીજી વાર સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીએ પ્રસાદ ઝીલ્યો હતો. 


આઠમના કચ્છના માતાના મઢ ખાતે યોજાતી ઐતિહાસિક પતરી વિધિ મુદ્દે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કચ્છ રાજપરિવારમાંથી કોણ વિધિ કરી શકે તે મુદ્દે ભુજ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ કચ્છના અંતિમ રાજવી મહારાવ મદનસિંહના નાના પુત્ર હનુમંતસિંહ તરફે ચુકાદો આપ્યો હતો. ગત વર્ષે મહારાણી પ્રીતિ દેવીના હસ્તે પૂજા થયા બાદ આ પરંપરામાં મોટો બદલાવ આવ્યો હતો. જે બાદ આ વર્ષે ફરી આ મુદ્દે નવો વળાંક આવ્યો છે. હનુવંતસિંહ જાડેજા તરફથી પ્રતિનિધિ નારાયણજી કલુભા જાડેજાએ આ વિવાદ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વિધિમાં વિવાદ એ અતિ દુઃખદ છે. અમે કોર્ટના ચુકાદાની રાહ જોઈ ચામર પૂજામાં એક દિવસનું વિલંબ કર્યું. હનુવંતસિંહ લાંબા સમયથી પોતાના હક માટે લડતા આવ્યા છે અને આજે આખરે તેમણે પોતાના હક મુજબ આ વિધિ પૂરી કરી છે.


આ પણ વાંચો : અહીં પુરુષો ઘાઘરો પહેરીને કરે છે ગરબા, 150 વર્ષ પહેલા કેવી રીતે પડી આ અનોખી પરંપરા


તો બીજા પક્ષે પ્રીતિદેવી તરફથી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ 450 વર્ષ જૂની પરંપરા તૂટવા મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું હતું. માતાજીની આરાધના માટેની વિધિઓ પરંપરા મુજબ થવી જોઈએ. વર્ષોથી ચામર પૂજા પાંચમના જ થાય છે, અમે આ વર્ષે પણ પાંચમના જ પૂજા કરી છે. જ્યારે કે તેમણે છઠ્ઠના દિવસે કરી છે. અમે પારંપરિક રીતે ટિલામેડીમાં પૂજા કરી. જ્યારે કે અન્ય મંદિરમાં સાચી ચામર પૂજા એ જ હોય કે જેમાં ચામર મહામાયા માતાજીના ચરણોમાંથી આશીર્વાદ મેળવીને લેવામાં આવ્યું હોય. અમે બધી પરંપરા મુહૂર્ત મુજબ કરી છે. અન્ય લોકોએ જે કર્યું તે માટે માતાજી તેમને સદ્બુદ્ધિ આપે તે જ અમારી પ્રાર્થના છે."


સમગ્ર કચ્છ અને જિલ્લા બહાર વસતા લાખો લોકોએ આ ઐતિહાસિક વિધીને લાઈવ નિહાળી માતાના પરચાના દર્શન કર્યા. આ પતરી વિધિ દરમિયાન રાજ પરિવારના સભ્યો, નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરાના ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા તેમજ માતાના મઢ જાગીરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તથા સમગ્ર કચ્છ અને જિલ્લા બહાર વસતા લાખો લોકોએ આ ઐતિહાસિક વિધિને લાઈવ નિહાળી માતાના પરચાના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. 


તો માતાના મઢ આશાપુરા મંદિર બાદ ભુજ આશાપુરા મંદિરે પણ ચામર વિધિ બાદ પતરી વિધિ યોજવામાં આવી હતી. આજનો દિવસ કચ્છ માટે ખૂબ મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસ ગણાય છે.