આણંદઃ આણંદના વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા દેશમાં કદાચ પ્રથમ વાર ક્રાતિકારી પગલું ભરાયું  છે. આગામી સમયમાં યુનિવર્સિટીના સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ઓન ડિમાન્ડ પાયલોટ પ્રોજેક્ટ શરૂ  કર્યો છે. એટલે કે વિદ્યાર્થી જ્યારે ઈચ્છે ત્યારે પરીક્ષા લેવામા આવશે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ એક બે એટી  કેટીના કારણે ભણવાનું છોડી દેતા હતા અને જે અભ્યાસ કરતા હતા તેઓને છ મહિનાથી એક વર્ષની રાહ જોવી  પડતી હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ નાશીપાસ થઈ જતા હતા. તેથી યુનિવર્સિટી દ્વારા એક્ઝામ ઓન  ડિમાન્ડથી વિદ્યાર્થીઓને સમય અને રૂપિયાનો બચાવ થશે. આ પાયલોટ પ્રોજેક્ટ જાન્યુઆરીથી સરદાર પટેલ  યુનિવર્સિટીમાં અમલમાં મુકાશે. આ પરીક્ષાનું પરિણામ પણ સાત દિવસમાં આપી દેવાશે અને પરીક્ષાના પેપર  પણ ખાસ સોફ્ટવર દ્વારા બનાવાશે.


પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટથી હજારો વિદ્યાર્થીઓને  ફાયદો થવાનો છે. હાલમાં તમામ અભ્યાસક્રમમાં સેમેસ્ટર સિસ્ટમ અમલી છે. ત્યારે કોઈ વિદ્યાર્થી એક-બે  વિષયમાં નાપાસ થયો હોય ત્યારે તેણે ફરી પરીક્ષા આપવા માટે એક વર્ષ કે છ મહિના સુધી રાહ જોવી પડે છે.  આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ એટીકેટી આવતા ન ભરવાના પગલા પણ ભરી લેતા હોય છે. ત્યારે સરદાર પટેલ  યુનિવર્સિટી દ્વારા એક્ઝામ ઓન ડિમાન્ડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ સાયન્સના  વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જો સફળ થશે તો તેનો યોગ્ય અમલ કરવામાં આવશે.