Kumara Kanani Vs Bus Operators : સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ એસોસિયેશન જંગ ચઢ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશન વચ્ચેના વિવાદનો ભોગ મુસાફરો બન્યા છે. સુરતમાં આજથી શહેરમાં બસ નહી આવે તેવો લક્ઝરી બસ સંચાલકોએ નિર્ણય લીધો છે. જેથી લક્ઝરી બસના ચાલકોએ મુસાફરોને શહેર બહાર જ ઉતાર્યા હતા. આ કારણે રિક્ષા ચાલકોએ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. વિવાદ વચ્ચે અટવાયેલા મુસાફરો પાસેથી રિક્ષા ચાલકો 200 રૂપિયાના બદલે 500 રૂપિયા ભાડું વસૂલતા હોવાનો આરોપ મુસાફરોએ મૂક્યો. એકાએક નિર્ણય બદલાતા વહેલી સવારથી આવેલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા. તો બીજી તરફ પોલીસે વધુ ભાડું વસૂલતા રિક્ષાચાલકો સામે પગલાં લેવાશે તેવો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીક્ષા ચાલકોએ ત્રણ ગણું ભાડુ વસૂલ્યું
આજથી સુરતમાં લક્ઝરી બસો પ્રવેશવાનું બંધ થયું છે. જેને પગલે બહારથી આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ બાદ બસ એસોસિએશને બસને શહેરમાં ન લાવવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને સુરતમાં સ્લીપિંગ એસટી બસ ચાલુ માંગ કરી હતી. જેમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સ્લીપિંગ એસટી બસની માંગ કરી છે. સાથે જ કુમાર કાનાણીએ ફરિયાદ કરી કે, ખાનગી લક્ઝરી બસ સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવે છે. તેથી તેઓએ ખાનગી બસોના રૂટનો સર્વે કરવા પણ માંગ કરી હતી. 



કાનાણીએ મુસાફરોને આપી વણમાગી સલાહ
આ તરફ કુમાર કાનાણીએ બસ એસોસિએશનના પ્રમુખ પર આરોપ લગાવ્યા કે, મુસાફરોને હેરાન કરવામા આવી રહ્યા છે. કુમાર કાનાણીએ કહ્યું કે, લોકોએ બે-પાંચ વાર ગામડે જવાનું હોય તો થોડું સહન કરવું જોઈએ. બસ એસોસિએશને શહેર બહાર મુસાફરોને ઉતારવા હોય તો ટિકિટના દર ઘટાડવા જોઇએ તેવી માગ કુમાર કાનાણીએ કરી. કાનાણીએ કહ્યું કે, મેં ફક્ત પોલીસના જાહેરનામાનો અમલ કરવાની રજૂઆત કરી હતી. બસ એસોસિએશનના પ્રમુખને અભિમાન છે. હું કોર્પોરેશનને રજૂઆત કરી BRTS ની વ્યવસ્થા થાય તેવું કરીશ. 


કુમાર કાનાણીએ કહ્યું કે, ટ્રાફિક વિભાગનો પરિપત્ર પહેલાથી જ છે. લોકો વર્ષમાં એક કે બે વાર જતા હોય છે. લોકોને ટ્રાફિકની સમસ્યા જોઈએ છે કે છુટકારો. આજે બેઠકનું આયોજન હાથ ધરાશે. મુસાફરો માટે સિટી બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મેં રાત્રિના 10 વાગ્યા બાદ એન્ટ્રી લેવા કહ્યું છે.