અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં હિન્દુ મૃતકોની અંતિમવિધિ માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધિ માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે. તે લાકડા પુરા પાડવા માટે (1) જયશ્રી કૃષ્ણ સેવા સંધ (2) સમભાવ સેવા સંધ નામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. તે દરેક સંસ્થાઓને 12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મશાનમાં પણ થાય છે કૌભાંડ?
તે કોન્ટ્રાકટરો દ્વારા અંતિમક્રિયા સમયે પુરા પાડવામાં આવતા લાકડા માટે પ્રતિ પુખ્ત વ્યક્તિ રૂા.૭૯૯/- ચાર્જ વસુલ કરવામાં આવે છે. જ્યારે ખરેખર તો કોન્ટ્રાકટની શરત મુજબ એક મૃતકની અંતિમવિધી માટે અંદાજે ૨૪૦ કિલો લાકડા પુરા પાડવાના હોય છે,  તેથી તે સંસ્થાઓ દ્વારા અંતિમવિધી માટે મૃતકનું મૃત શરીર લોખંડની ઘોડી ઉપર મુકવાનું હોય છે. તે લોંખડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકની અંતિમવિધી કરવામાં આવી રહેલ છે જેને કારણે અંદાજે માત્ર ૧૦૦ થી ૧૨૫ કિલો લાકડા વપરાય છે. તેમ છતાં તે બંને સંસ્થા દ્વારા પુરા લાકડા બતાવી પ્રજાજનો પાસેથી પુરેપુરા નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ બી.પી.એલ. કાર્ડધારક પાસેથી લાકડાના માત્ર ૩૬૦ રૂા. જ લેવાના હોય છે તેમ છતાં તેઓ પાસેથી પણ પુરા નાણાં પડાવાય છે જેથી તે સંસ્થાઓ દ્વારા અંત્યત ગરીબ પછાત લોકોને પણ છોડયાં નથી. 



(ફેરફાર કર્યા વગરની ઘોડી)


આ પણ વાંચોઃ ફિવર અને હિટસ્ટ્રોકના કેસોમાં મોટો વધારો, 108ને દરરોજ મળે છે 3500 ઈમરજન્સી કોલ


તંત્રને મળી ચુકી છે અનેક ફરિયાદો
તેમાં નવાઇ જનક બાબત તો એ છે કે તંત્ર દ્વારા તે બાબતની ખુબ જ ફરિયાદો મળતાં અત્યાર સુધીમાં ૧૫ નોટિસો આપેલ છે. તે સંસ્થાઓ દ્વારા તે નોટિસોની અવગણના કરતાં તે બનેં સંસ્થાઓને બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા બે વાર દરખાસ્ત હેલ્થ કમિટીમાં મુકેલ છે. પરંતુ તે સંસ્થાઓ સત્તાધારી ભાજપની માનીતી સંસ્થા હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા મુકાયેલ દરખાસ્ત બને વાર હેલ્થ કમિટી દ્વારા પરત કરી દેવામાં આવેલ છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે ૧૫ વાર નોટીસો આપેલ હોય તથા બે વાર બ્લેકલીસ્ટ કરવાનું કામ આવેલ હોય તેવી વિવાદીત અને ખરડાયેલ સંસ્થાઓને સત્તાધારી ભાજપ દ્વારા શા માટે છાવરવામાં આવે છે ? તે સમજી શકાય તેવી બાબત છે.



(ફેરફાર કર્યા બાદની ઘોડી)


વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જો ખરેખર લોકોના અંતિમ સંસ્કારમાં પણ આવું કાર્ય થઈ રહ્યું હોય તો આ શરમજનક બાબત ગણી શકાય. ભષ્ટ્રાચાર આચરવા માટે સ્મશાનગૃહો અને મૃતકોને પણ છોડયાં નથી તેવા શાસકો માટે શરમજનક બાબત છે. આથી અમદાવાદ મ્યુનિ. કોર્પોના ૨૪ સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડતી ઉપરોક્ત (૧) જયશ્રી કૃષ્ણ સેવા સંધ (૨) સમભાવ સેવા સંધ નામની સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરી તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેના વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણની માંગણી છે. આ અંગે હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ અને ડેપ્યુટી ચેરમેન કંઈપણ કહેવા તૈયાર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube