ઝી ન્યૂઝ/સાબરકાંઠા: હિંમતનગરના છાપરિયામાં એક દિવસમાં બે વખત પથ્થર મારાની ઘટના બનતા અંજપાભરી સ્થિતિ ઉદ્દભવી છે. ગઈકાલે (રવિવાર) સવારે રામનવમી નિમિતે રામજીની શોભા યાત્રા નિકળી તે સમયે અમુક અસામાજિક તત્વોએ પથ્થર મારો કર્યો હતો, ત્યારબાદ ફરી પથ્થરમારો કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસામાજિક તત્વો આટલેથી અટક્યા નહોતા, તેમણે પોલીસ પર પણ પથ્થર મારો કર્યો હતો. દુકાનોમાં તોડફોડ કરી હતી. વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ થતા પોલીસને ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ પથ્થર મારામાં પોલીસના ઉચ્ચ અધિકારીને પણ ઈજા પહોંચી છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે કલમ 144  લાગુ કરવામાં આવી છે. 


સમગ્ર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને, તે માટે સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે આગામી 13 એપ્રિલ સુધી અમલમાં રહેશે. બીજી બાજુ હાલ તો પોલીસે પ્રજાને શાંતિ જાળવવા અને ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા શહેરમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, હિંમતનગર અને ખંભાતમાં જૂથ અથડામણ થઈ જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાઈલેવલની બેઠક બોલાવી હતી. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સહીતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હાલમાં શું પરિસ્થિતિ છે તેના પર ચર્ચા કરવામાં આવી. કેટલાક લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. 


બન્ને ઘટનામાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. ખંભાતમાં થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે અંગે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં હિંમતનગર અને ખંભાતમાં શાંતિનો માહોલ છે. સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મુકવા સામે પોલીસ કાર્યવાહી કરશે અને વાંધાજન પોસ્ટ ડિલીટ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube