ગાંધીનગરઃ ગાંધીનગરના કોંગ્રેસના પૂર્વ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ બાપુના મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, આજની ભાજપ સરકાર છેલ્લા સાડા ચાર વર્ષમાં પોતાના વચનો પાળવામાં નિષ્ફળ ગઈ છે. કેન્દ્ર સરકાર પોતાના કામોનો હિસાબ આપે. તેમણે સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે, આજે ખેડૂત, ખેતમજૂર અને ખેતીનો દેશમાં સફાયો છે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતોને છેતરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્હીની સરકાર માત્ર માર્કેટિંગથી ચાલતી સરકાર છે. આ સરકાર ગેમચેન્જર નહીં પરંતુ નેમચેન્જર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, હું હાલ કોઈ પક્ષમાં જોડાવા નથી. મારૂં કાર્ય માત્ર તમામ પક્ષોને ભેગા કરીને તેમના વચ્ચેની મડાગાંઠને દૂર કરવાનો છે. આજની પરિસ્થિતિને અનુલક્ષીને મોદી સરકાર સામે તમામ પક્ષોને ભેગા કરવા માટે હું સક્રિય થયો છું. છેલ્લા પાંચ મહિનામાં દિલ્હી સહિત અનેક રાજ્યોનો પ્રવાસ કર્યો છે. ભાજપના આગેવાનો સહિત અન્ય આગેવાનોની પણ મુલાકાત કરી છે. 


બધા આગેવાનોને મળ્યા પછી લોકો વચ્ચેથી જે ફીડબેક મળ્યો તેમાં એ જાણવા મળ્યું કે, રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સીધો સંપર્ક રહ્યો નથી. દરેક રાજ્યો કેન્દ્રની તાનાશાહીથી કંટાળેલા છે. આ કારણે હવે બધા જ ભેગા મળીને એક મહાગઠબંધન બનાવવા તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપીએ ભેગામળીને લડવું જોઈએ.મહેન્દ્રસિંહે પણ મારા નિર્ણયને સમર્થન આપ્યું છે. મારા તમામ કાર્યકર્તાઓએ ફોન કરીને ટેકો આપ્યો છે. 


દિલ્હીમાં આડવાણી સાથેની મુલાકાત અંગે જણાવ્યું કે, તે માત્ર ઔપચારિક મુલાકાત હતી. આ મુલાકાતમાં આડવાણીજીએ 2019માં ગાંધીનગરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. અહેમદ પટેલ સાથેની મુલાકાત અંગે પણ તેમણે જણાવ્યું કે, અમે જુના મિત્રો છીએ અને માત્ર ચા પીવા માટે ભેગા થયા હતા. રાહુલ ગાંધીના વડા પ્રધાન બનવા અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વડા પ્રધાન બનવા તૈયારી દર્શાવી નથી.