મયુર સાંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરનાં ગંગાનગર વિસ્તારમાં રાતના સમયે ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂતેલા આધેડની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલતા અનૈતિક સંબંધ સામે આવ્યું હતું. વિધવા ભાભીએ જ વિધુર દિયરની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું ખુલતા પોલીસે હત્યારી ભાભીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગાનગર વિસ્તારમાં સાગરભાઇ સાંતલપરા (ઉંમર 41 વર્ષ)  ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા. સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો. એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી. 


સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો. ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પુત્રએ દેકારો બોલી જતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પુત્ર મહેશે શહેરના એ. ડીવીઝન પોલીસને જાણ કરતા સિટી પીઆઈ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. 


પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ઘટના સ્થળે ડોગ સ્કોવડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરતા આ મર્ડર પાછળ કોઇ નજીકનું જ શખ્સ હોવાની શંકા ગઈ હતી. ત્યારે પોલીસે દરેક પારિવારિક સભ્યની પૂછપરછ કરી હતી. આવામાં સાગરભાઇની સગી વિધવા ભાભીએ જ દિયરનું ઢીમ ઢાળી દીધાનું ખૂલ્યું હતું. 


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. જેથી ભાભી કસ્તુરીએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી.