મહેસાણા : અત્યાર સુધી તસ્કરોને સોનાચાંદીના કિંમતી દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરતા જોયા. પણ પાટણમાં તો તસ્કરોએ ગોડાઉનમાં હાથફેરો કરી જીરુ, સરસવ અને રાજગરાની બોરીની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ. ગોડાઉન માલિકની ફરિયાદના આધારે પોલીસે આ વિચિત્ર ચોરી કરતાં તસ્કરોને પકડવા એડીચોટીનું જોર લગાવ્યું અને ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લ્યો બોલો, ગોડાઉનમાંથી જીરુ, રાજગરાની બોરીની ચોરી
કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો જ ખુલ્લી છે. બાકી મોટા મોલ અને ગોડાઉન અત્યારે બંધ હાલતમાં પડ્યા છે. આવા સમયે પાટણના સિદ્ધપુર જીઆઈડીસીના ત્રણ મહિનાથી બંધ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું, અને ચોરી ગયા 50 બોરી જીરું , 150 બોરી રાજગરો ,42 બોરી સરસવ. કુલ 9 લાખ 82 હજારથી વધુના મુદ્દામાલ અંગે ગોડાઉન માલિકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.


3 મહિનાથી બંધ ગોડાઉનનો ઉઠાવ્યો લાભ
ગોડાઉન માલિકની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા. સૌથી પહેલાં એ તપાસ કરવામાં આવી કે આ ગોડાઉનની ચાવી કોની પાસે રહેતી હતી. અને બસ પોલીસને મહત્વની કડી મળી ગઈ. આ ગોડાઉનમાં નોકરી કરતાં મૌલિક રાણા અને મૌલિક ધોબીની શંકાસ્પદ હરકત બાદ બંનેને બોલાવી પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ બંનેએ જ તેમના સાગરીતોને સાથે રાખીને ચોરીને અંજામ આપ્યો છે. બસ પોલીસે આ સાથે જ પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી. 


જ્યાં નોકરી કરી ત્યાં જ પાડ્યું ખાતર
ચોરી માટે સૌથી પહેલાં જીઆઈડીસીમાં રેકી કરતાં અને જે પ્લોટમાં વધુ સમયથી બંધ પેઢી હોય તેને ટાર્ગેટ બનાવતાં હતાં.  પોલીસે પકડેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ચોરીનો મુદ્દામાલ વિષ્ણુજી રાજપૂતની મદદથી વેચતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો 9 લાખ 15 હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આમ જે થાળીમાં ખાતા એ જ થાળીમાં થૂંકવાની ફિતરવાળા આ બંને શખ્સોએ પોતાના જ ગોડાઉનને નિશાન તો બનાવ્યું છે પણ તેમની ફિતરતે તેમને જેલના સળિયા ગણતા કરતી દીધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube