Surat News : સુરતમાં મોડી રાતે ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ શહેર હાઈએલર્ટ પર છે. સુરતમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારા બાદ સમગ્ર સૈયદપુરા વિસ્તાર પોલીસના બાનમાં છે. આખા વિસ્તારમાં મોડી રાતથી પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પથ્થરબાજો સામે કડક પગલાં લઈશું. ત્યારે પથ્થરમારામાં 12 વર્ષના 6 તરુણો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ માસુમોના હાથમાં કોણે પથ્થર પકડાવ્યા. આખરે કોણ આ માસુમોને હથકંડો બનાવીને તેમને ગુનાની દુનિયામાં ધકેલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.  ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હોવાનું કહેવાય છે. આ પથ્થરમારામાં કુલ 6 તરુણ સામેલ હતા. હાલ સૈયદપુરામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો ભારે હંગામો થતા જ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું છે. રાત્રિ દરમિયાન જ પોલીસે 27 પથ્થરબાજોની ધરપકડ કરી છે. તાળુ તોડીને ઘરમાં છૂપાયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. હાલ ડ્રોનથી સમગ્ર વિસ્તારમાં નજર રખાઈ રહી છે.  


 



 


કોમી તોફાન જેવી સ્થિતિ 
સુરતના વરિયાવી બજાર વિસ્તારમાં ગણેશજી મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બાદ કોમી તોફાન જેવી સ્થિતિ ઉભી થઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ પોલીસ ચોકી પર ભેગા થયા હતી. પોલીસ અને ધારાસભ્ય કાંતિ બલ્લર પર પણ પથ્થરમારો કરાયો હતો. માહિતી મળતા જ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગુસ્સે થયેલા લોકોએ વાહનોમાં આગચંપી કરી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસ પણ છોડ્યા.


 



 


200 થી વધુનો પોલીસ કાફલો ગોઠવાયો
સુરતનાં  સૈયદપૂરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળો કર્યાનો મામલે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. સુરત શહેર પોલીસના SOG ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, સૈયદપુરામાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. ડીસીપી, એસીપી, પીઆઇ સહિત મોટી સંખ્યામાં બંદોબસ્તમાં છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ 27 લોકોની અટકાયત કરાઈ છે. આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવશે. કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે. કોઈપણ લોકો પાસે ઘટનાના વીડિયો હોય તો પોલીસને આપે. જે પણ સંડોવાયેલા છે તેઓના પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. 


 



 


અફવાથી દૂર રહેવા સુરત પોલીસની અપીલ
સુરત શહેર પોલીસ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ગઇકાલની ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સૈયદરપુરામા શાંતિ છે. સવારે એસઆરપીની કંપની, સ્થાનિક પોલીસ વિસ્તારમાં તૈનાત છે. લોકો રાબેતા મુજબ કામકાજ માટે બહાર નીકળ્યા છે. ડીસીપીએ લોકોને સોશિયલ મીડિયા પરની અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે.


 



 


પથ્થરમારો કરીને ઘરમાં સંતાયા
ZEE 24 કલાક પર સુરત તોફાન કેસમાં EXCLUSIVE દ્રશ્યો સામે આવ્યા છે. સૈયદપુરાની શાંતિને ડહોળનારા તત્વો એક ઘરમાં સંતાઈ ગયા હતા. ઘરની બહાર તાળું મારીને તોફાનીઓને સંતાડી દેવામાં આવ્યા હતા. સુરત પોલીસે ઘરની બહાર મારેલું તાળું તોડીને તોફાનીઓને અંદર ઘૂસીને દબોચી લીધા હતા. પોલીસે લોખંડના સળિયાથી ઘરની બહાર લાગેલુ તાળા તોડ્યું હતું અને અંદર છુપાયેલા તોફાનીઓને બહાર કાઢ્યા હતા. બીજી તરફ એક હજાર પોલીસ જવાનોનો કાફલો સૈયદપુરામાં ખડકી દેવાયો હતો અને કોમ્બિંગ હાથ ધર્યું હતું.


સૂર્યોદય પહેલા 27 પથ્થરબાજોની ધરપકડ
સુરત પથ્થરમારાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી હતી. તેમણે સુરત પોલીસે રાતભર કરેલી કામગીરીની માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેં જે વચન આપ્યુ હતુ તે પ્રમાણે સૂર્યાદય પહેલા તમામ પથ્થરબાજોને પકડી લેવામા આવ્યા છે. કુલ 27 પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. 



એ જ પંડાલમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરતી ઉતારી 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. તેના બાદ પગપાળા સૈયદ પુરા ચોકી પાસે પહોંચ્યા હતા. હર્ષ સઘવીએ નિવેદનમાં જણાવ્યું કે, કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહિ. 20 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આ રીતની પ્રવૃત્તિ નહિ ચલાવાય. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોખંડના તાળા પણ તૂટશે. આરોપીઓને બહાર પણ કાઢવામાં આવશે.