રાજકોટઃ રાજ્યભરમાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરી રાજકોટમાં ચાલતી હતી આ દરમિયાન ભાજપના અગ્રણી દિનેશ કારીયાને કાયદાનું ભાન કરાવનાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના PI બી.પી. સોનારાની રાજકીય ઈશારે બદલી કરવામાં આવી છે. તેની બદલીનો વિરોધ કરતા આજે આહીર સમાજ રસ્તા પર ઉતર્યો હતો. આહીર સમાજે પીઆઈની બદલીનો વિરોધ કરતા કોઠારિયા હાઇવે ચક્કાજામ કર્યો હતો. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે લોકોને સમજાવીને રોડ પરથી હટાવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PIની બદલી રોકવા લોકો મેદાને
શહેરમાં જ્યારથી પીઆઈ બીપી સોનારાની બદલી થઈ છે ત્યારથી બદલીને રોકવા માટે લોકો આગળ આવ્યા છે. આહીર સમાજ દ્વારા પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તો સોશિયલ મીડિયામાં પણ લોકો તેમની બદલીને રોકવા માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. સિહોર પોલીસ સ્ટેશનમાંથી નિવૃત થયેલા કોન્સ્ટેબલ બટુકભાઈએ કહ્યું કે, તેમણે ગૃહવિભાગમાં લેખિતમાં આ બાબતે રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, જો બદલી પાછી ખેંચવામાં નહીં આવે તો રાજકોટ-અમદાવાદ હાઈવે પર આત્મવિલોપન કરશે. 


ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને જ્યારથી પીઆઈની બદલીના સમાચાર મળ્યા ત્યારથી લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો એક સામાજીક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પોતાની બાઇક પાઠળ એક પોસ્ટર લગાવ્યું, જેમાં લખ્યું છે કે હવે નેતાનો પોલીસને બદલીનો ડર, જનતા તારી રક્ષા તું સ્વયં કર.