Rajkot News ગૌરવ દવે/રાજકોટ : ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ આવ્યા છતા હજી આ આતંકમાંથી મુક્તિ મળી નથી. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં દરરોજ રખડતા ઢોરોનો ત્રાસ રહે છે. રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના ત્રાસની બીજી ઘટના સામે આવી છે. મવડી હેડ કવાર્ટરમાં વહેલી સવારે પરેડ પૂર્ણ કરી ઘરે પરત ફરતી મહિલા પોલીસને ગાયે અડફેટે લીધી હતી. આ બનાવમાં કુલ 3 મહિલાઓ ઇજાગ્રસ્ત બની હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહમાં 400 કરતા વધુ રખડતા ઢોર પકડ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. પોલીસ કમિશ્નર રખડતા ઢોરના માલિક સામે કડક કાર્યવાહી કરવાનું જાહેરનામું બહાર પાડી દે છે. પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જ છે. રખડતા ઢોરને કારણે રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં બે બનાવો સામે આવ્યા છે. જેમાં ભોગ નિવૃત આર્મીમેન અને મહિલા પોલીસ ઇજાગ્રસ્ત થયા છે. 


પોલીસ કોન્સ્ટેબલના 5 દાંત તૂટ્યા
પોલીસ કોન્સ્ટેબલ રાજુ ઝીબાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે મવડી હેડ કવાર્ટર ખાતે પોલીસ પરેડ પૂર્ણ કરી ઘરે પરત ફરતા લોક રક્ષક પૂજા સદાદિયા અને કોન્સ્ટેબલ ગાયત્રી મોરારી એક્ટિવા લઈને જઇ રહ્યા હતા. ગાય રસ્તા પર હતી અને શ્વાન ભસતા ગાય ભડકી હતી. એક્ટિવા સાથે ગાય અથડાઈ અને બંને મહિલા પોલીસ નીચે પટકાઈ હતી. એટલું જ નહીં ગાય ભડકી તેને કરિશ્મા નામની રાહદારી મહિલાને પણ અડફેટે લીધી છે. ઇજાગ્રસ્ત મહિલાઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 


નિવૃત્ત આર્મીમેન હજુ સારવાર હેઠળ
રાજકોટ મહાનગરપાલિકા ઢોર પકડતી હોવાના દાવાઓ કરે છે પરંતુ તાજેતરમાં જ 16 ડિસેમ્બરના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા નવલસિંહ ઝાલા નામના નિવૃત્ત આર્મીબેન પોતાના પૌત્ર સાથે વસ્તુ લેવા જઈ રહ્યા હતા ત્યારે ભડકેલી ગાયે અળફેટે લેતા ગંભીર ઇજા પહોંચતી હતી તેમની સારવાર હજુ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે ઘટના બનતા જ રાજકોટના મેયરે ઢોર પકડ ની ઝુંબેશ શરૂ કરવા કહ્યું હતુઁ. જોકે ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવતા RMCની ઢોર પકડ કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.


રાજકોટમાં રખડતા ઢોર મામલે RMC દ્વારા થોડા સમય પહેલા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રખડતાં ઢોરની રાત્રીના સમયે પણ ફરિયાદ મળશે તો પણ કાર્યવાહી થશે. ઢોર પકડવા માટે પાર્ટી રાત્રીના સમયે પણ રસ્તા પર રખડતાં ઢોર પકડશે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના આ દાવા પોકળ સાબિત થયા છે.