ઝી મીડિયા/બ્યૂરો :સુરતના બહુચર્ચિત હજીરા દુષ્કર્મ કેસ (surat rape case) મા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. હજીરાની બાળા સાથે બનેલી ઘટનાના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી આરોપીને મૃત્યદંડની સજા કરવા સરકાર પક્ષે માંગ કરી હતી. સુરતના હજીરા દુષ્કર્મ હત્યા કેસ (rape case) માં આજે સજાનું એલાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે આ પહેલા આરોપીને દોષી જાહેર કર્યો હતો. કોર્ટે, સજાના એલાન માટે આજની તારીખ નક્કી કરી હતી. દોષિત સુજીત સાકેતને આજે કોર્ટ સજા સંભળાવી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ માહિતા આપી હતી કે, આરોપી સુજીતને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે. આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી અમે આ કેસમાં કેપિટલ પનિશમેન્ટની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં. આ કેસમાં અલગ અલગ 26 સાક્ષીઓની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા હતા.


ગત અઠવાડિયા કસૂરવાર જાહેર કર્યો
અઠવાડિયા પહેલા કોર્ટમાં થયેલી સુનાવણીમાં સુરત કોર્ટ દ્વારા આરોપીને કાસુરવાર ઠેરવાયો હતો. સરકારી વકીલ નયન સુખડવાળા દ્વારા આરોપીને ફાંસી માટે દલીલ કરાઈ હતી.  


પાંચ વર્ષની બાળકીને દુષ્કર્મ બાદ મારી નાંખી હતી 
સુરતની વિવિધ કંપનીઓમાં કામ કરતા શ્રમજીવીઓ પોતાના પરિવાર સાથે રહે છે. હજીરા વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો. જેમની પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે મધ્યપ્રદેશના રીવા જીલ્લાના વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત નામનો યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બીજી તરફ, બાળકી ખોવાતા માતાપિતા ઘાંઘા બની ગયા હતા. તેમણે પોલીસમાઁ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ચારેતરફ સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું. જેમાં અવાવરુ જગ્યા પરથી બાળકીની લાશ મળી આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાકેતને પકડી પાડ્યો હતો. 



આ ઘટના બાદ આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેરમાં ગણાયો હતો. જેથી સરકાર પક્ષ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ હતી, જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય. સરકાર પક્ષે આરોપી સામેનો કેસ નિ:શકપણે સાબિત કરતાં આરોપીને તમામ આક્ષેપિત ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આરોપીના બચાવ પક્ષે આરોપીની નાની વય તથા વૃદ્ધ માતાપિતાની જવાબદારીને ધ્યાનમાં લઈને સજામાં રહેમની ભીખ માંગી ખોટી સંડોવણી કરી હોવાનું જણાવ્યું હતું.