ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે. એક સગર્ભા મહિલાએ મોત વ્હાલુ કરતા પહેલા તેના અઢી વર્ષના બાળકની હત્યા કરી હતી. દીકરાની હત્યા બાદ મહિલાએ ચાર માળની બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી કડોદરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું દીદી હું કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કડોદરા વિસ્તારમાં ગ્રીન સિટીના યુનિક એપાર્ટમેન્ટમાં રહેતી એક સગર્ભા મહિલાએ કૂદીને મોત વ્હાલુ કર્યું છે. 30 વર્ષીય સગર્ભા મહિલા વનિતાબેન પાંડેએ આજે સવારે એપાર્ટમેન્ટ પરથી કૂદીને મોત વ્હાલુ કર્યું છે. પાંડે પરિવાર મૂળ યુપીનો રહેવાસી છે. વનિતા પાંડે પતિ અને સસરા અલગ રૂમમાં સૂતા હતા. તો સગર્ભા વનિતાબેન પોતાના નાના બાળક સાથે અલગ રૂમમાં સૂતા હતા. વહેલી સવાર છ વાગ્યે વનિતાબેને ચોથા માળેથી કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. 


પરંતુ પોતે મોત વ્હાલુ કરતા પહેલા વનિતાબેને પોતાના પુત્રની પણ હત્યા કરી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હતો. આ જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો. મૃતક વનિતા પાંડે ને અન્ય એક 4 વર્ષનો પણ બાળક હતો જે દાદા સાથે સૂતો હોય બચી ગયો હતો.


જોકે, મહિલાએ કયા કારણોસર આ પગલુ ભર્યું તે હજી જાણવા મળ્યું નથી. મહિલાએ આત્મહત્યા કરી ત્યારે તેના પેટમાં 6 મહિનાનો ગર્ભ હતો. મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું દીદી હું કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. સમગ્ર મામલે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.