ચેતન પટેલ, સુરત: નાયલોન સ્પીનર્સ એસોસીએશન, સુરત તથા અન્ય એસોસીએશનો તરફથી મળેલી રજૂઆતને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના નાણાં નિર્મલા સીતારમણ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનર જે.પી. ગુપ્તાને સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્‌ટર રાજ ચલાવી ખોટી રીતે ઉદ્યોગકારોની કરવામાં આવી રહેલી કનડગત બાબતે રજૂઆત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લાં ઘણા સમયથી ઉદ્યોગકારો દ્વારા ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે જો ભૂલ થાય છે તો તેવા સંજોગોમાં સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના મોબાઇલ સ્ક્‌વોડ દ્વારા આખું કન્સાઇન્મેન્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને ત્યારબાદ ઉદ્યોગકારોને એવું જણાવવામાં આવે છે કે અપીલ થકી આ માલ તથા વાહનને છોડાવવું પડશે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્‌ટ ટેક્‌સીસ (સીબીઆઇસી)ના પરીપત્ર  મુજબ આ પ્રકારની ભૂલો અંતર્ગત માત્ર રૂપિયા એક હજારની પેનલ્ટી કરવાની જોગવાઇ છે. 


આવી કાનુની જોગવાઇને નજર અંદાજ કરી સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનો માલ તેના વાહન સાથે જપ્ત કરી લેવો એ ગેરવ્યાજબી અને તદ્દન મનમાનીભરી કાર્યવાહી હોઇ ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.


વળી, ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે અજાણતામાં થતી ભૂલમાં કોઇપણ પ્રકારની કરચોરી થતી નથી, ત્યારે અધિકારીઓની આ પ્રકારની કાયદા વિરૂદ્ધની કાર્યવાહી એ ઉદ્યોગકારોને ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ની અનુભુતિ કરાવી રહી છે. આથી ઉદ્યોગકારોની આ પ્રકારની થતી હેરાનગતિને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ચેમ્બર દ્વારા દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તથા સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનરને રજૂઆત કરાઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube