અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ ખાતે મણિનગરમાં આવેલા હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  ગુજરાતની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી, આગામી રણનીતિ ઘડવામાં આવી છે. એચ.ટાટ, મહાનગર અને નગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ-પે તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સળંગ નોકરી, શિક્ષકોની ભરતી તેમજ જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું હતું કે, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 4200 ગ્રેડ પે માટે ધરણા પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું છે. એચ. ટાટનાં કર્મચારીઓની ભરતી થઈ એ પછી હવે એ કર્મચારીઓએ 300 કિમી સુધી દૂર જવું પડ્યું છે, આ સમસ્યા અંગે સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે. પણ ઉકેલ નથી આવી રહ્યો, આ મામલે ઉગ્ર લડત લડીશું. 


શિક્ષણમંત્રીએ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કેટલાક પ્રશ્નો મામલે અમને મૌખિક સંમતિ આપી છે પંરતુ ઠરાવ થયા નથી. જેના કારણે હજુ અમને ન્યાય નથી મળી રહ્યા તો એ અંગે શિક્ષણમંત્રીને ફરી રૂબરૂ મળીને રજૂઆત કરીશું. જૂની પેન્શન યોજના માટે અમે અગાઉ ગાંધીનગરમાં કાર્યક્રમ યોજ્યો હતો. 


આ પણ વાંચોઃ આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છે, અમદાવાદમાં બોલ્યા કેજરીવાલ


હવે ફરી 15 ઓગસ્ટ બાદ તમામ જિલ્લામથકો ખાતે કાર્યક્રમ યોજીશુ, અયોધ્યા ખાતે મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. જૂની પેન્શન યોજના માટે જરૂર પડશે તો દિલ્લી સુધી જવાની અમે રણનીતિ નક્કી કરી છે. એ સિવાય આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 1 ઓગસ્ટના દિવસે એકસાથે રાજ્યની 25 હજાર શાળામાં ભારત માતાનાં ફોટો અને સ્ટીકર સાથે દેશભક્તિના કાર્યક્રમ યોજીશું.


હાલ અમારા મહાસંઘ સાથે 1 લાખ 25 હજાર જેટલા સભ્યો જોડાયેલા છે, અમે સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારો લક્ષ્યાંક 2 લાખ સભ્ય બનાવવાનો છે, એના માટે રણનીતિ ઘડવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube