ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તાર એવા વાસણામાં એક સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસ દોડતી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બનાવની વાત કરીએ તો, વાસણા પોલીસને કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે, એક સગીરાને હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને તેણે આત્મહત્યા કરી છે. જ્યારે પોલીસ તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે, મૃતક સગીરા ઘરકામ કરતી હતી. અલગ અલગ ઘરમાં જઈને તે કામ કરીને રોજીરોટી મેળવતી હતી. ત્યારે આજે સગીરા વાસણાના નીકલંઠ એપાર્ટમેન્ટમાં ઘરકામ માટે ગઈ હતી, તો ત્યાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘર માલિકે આ અંગે પરિવારને જાણ કરી અને સગીરાનો પરિવાર તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.


સગીરાના પરિવારે આક્ષેપ કર્યો છે કે, જ્યારે સગીરા ઘરકામ કરવા માટે ગઈ હતી, ત્યારે ઘરમાલિકના ઘરે એક યુવક એકલો હતો અને જેણે સગીરા સાથે બાળજબરી કરી હોઈ શકે અને જેના કારણે આ સગીરાએ આત્મહત્યા કરી લીધી હોય તેવું શક્ય છે. ત્યારે આ સમગ્ર મામલે વાસણા પોલીસે સગીરાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી રહી છે. હાલ પોલીસ સૌથી પહેલા એ તપાસમાં લાગી છે કે, સગીરાએ આ ઘરમાં જ કેમ આત્મહત્યા કરી. એવું તો શું થયું કે સગીરાએ મોતને વ્હાલુ કરવાની જરૂર પડી.