ઝી બ્યુરો/ગાંધીનગર: જમીન વેચાઈ જાય, મકાન વેચાઈ જાય, બારોબાર મિલકત વેચાઈ જાય. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે આખું ગામ બારોબાર વેચાઈ જાય?ક્યારેય સાંભળવામાં કે માનવામાં ન આવે તેવી ઘટના આપણા ગુજરાતમાં બની છે. હા...રાજધાની ગાંધીનગર જિલ્લામાં આવેલું આખુ ગામ બારોબાર વેચાઈ ગયું જેના કારણે ગામમાં વસતા લોકો ચિંતામાં મુકાયા છે. આશ્રર્યચકિત કરે તેવી આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો?


  • ગુજરાતમાં આખુ ગામ બારોબાર વેચાઈ ગયું

  • ગામ લોકો સુતા રહ્યા અને થઈ ગયો સોદો

  • માનવામાં ન આવે તેવી ઘટના ગાંધીનગરમાં બની

  • કેવી રીતે થયો ગુજરાતનો સૌથી ચર્ચાસ્પદ વેચાણ દસ્તાવેજ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરી, નકલી અધિકારીના ખેલ ચાલી રહ્યા છે. પરંતુ એક ઘટના એવી બની કે જે આખા ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બની છે. માની ન શકાય તેવી ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બની છે. જ્યાં આખા ગામનો બારોબાર સોદો થઈ ગયો. ગામ લોકો સુતા હતા અને વારસદારોએ આખું ગામ વેચીનો લોકોને રળઝળતા કરી દીધા છે.



ગામમાં લોકો વસવાટ કરતાં હોય, પોતાના ઘર બનાવ્યા હોય, પોતાની જમીન પર ખેતી કરતાં હોય. ત્યાં આખું ગામ કેવી રીતે વેચાઈ શકે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ જે સરવે નંબર 142 પર વસ્યું છે. આ ગામનો બારોબાર સોદો થઈ ગયો તેવી જાણ ગામની નજીકમાં રહેતા એક વ્યક્તિને થઈ. ઉતારા લેવા માટે ગયેલા આ ખેડૂતે જ્યારે 142 સરવે નંબરમાં વેચાણની એન્ટ્રી જોઈ તો તેઓ ચોંકી ગયા.


હવે જે 142 સરવે નંબર પર આ પહાડિયા ગામ વસેલું છે, તેના મૂળ માલિક ઝાલા ભીખાજી સોમાજી હતા. જેઓ હાલ હયાત નથી. જે તે સમયે ભીખાજીએ કાચા લખાણ પર કેટલાક પરિવારોને વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી. આ માટે તેમણે અમુક રકમ પણ લીધી હતી. ત્યારપછી 88 જેટલા પરિવારોએ પોતાના ઘર બાંધીને વસવાટ શરૂ કર્યો. ભીખાજી તો દેવલોક જતાં રહ્યા પરંતુ વારસાઈમાં તેમના દીકરાઓનું નામ સાત-બારના ઉતારામાં આવ્યું. તો તેમના દીકરા વિનોદ ઝાલાને લાલચ જાગી અને તેમણે આટલી મોટી જમીન રાજકોટના અલ્પેશ હીરપરાને બારોબર વેચી મારી. સૌથી મોટી વાત એ છે કે વિનોદ ઝાલાએ હીરપરાને સ્થળ મુલાકાત ન કરાવી. માત્ર જૂના ફોટા બતાવી વેચાણ દસ્તાવેજ કરી દીધો.


શું છે સમગ્ર ઘટના?


  • 142 સરવે નંબર પર આ પહાડિયા ગામ વસેલું છે

  • મૂળ માલિક ઝાલા ભીખાજી સોમાજી હતા, જેઓ હયાત નથી

  • ભીખાજીએ કાચા લખાણ પર પરિવારોને વસવાટ માટે મંજૂરી આપી હતી

  • મંજૂરી માટે તેમણે અમુક રકમ પણ લીધી હતી

  • 88 જેટલા પરિવારોએ પોતાના ઘર બાંધીને વસવાટ શરૂ કર્યો

  • ભીખાજી દેવલોક જતાં રહ્યા, વારસાઈમાં દીકરાઓનું નામ ઉતારામાં આવ્યું

  • દીકરા વિનોદ ઝાલાને લાલચ જાગી

  • જમીન રાજકોટના અલ્પેશ હીરપરાને બારોબર વેચી મારી


કાયદાની જોગવાઈ પ્રમાણે સાત-બારના ઉતારામાં જેનું નામ હોય તે જ જમીનનો સાચો માલિક ગણાય છે. વિનોદ ઝાલાનું નામ ઉતારામાં છે. એટલે તેઓ પોતાની જમીન કોઈને પણ વેચી શકે છે. હવે આ કેસમાં સરકાર શું નિર્ણય કરે છે તેના પર મદાર છે. તો આ ઘટનામાં સત્યની ચકાસણી કરવા માટે જેણે જમીન વેચી તે વિનોદ ઝાલાના ઘરે અમે પહોંચ્યા હતા. વિનોદ ઝાલા બાજુના ગામ નવા પહાડિયામાં રહે છે. અમે તેમના ઘરે પહોંચ્યા તો ઘર તાળુ જોવા મળ્યું.


ગામ વેચાઈ ગયું છે, તેનો દસ્તાવેજ પણ થઈ ગયો છે. જે જાણકારી મળી તે મુજબ દસ્તાવેજ ખોટો નથી. કારણ કે જમીનના મૂળ માલિકે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે. પરંતુ સત્ય એ પણ છે કે વર્ષોથી રહેતા એ ગામ લોકોનું શું થશે? જાય તો તેઓ ક્યાં જાય? જોવું રહ્યું કે આ ઘટનામાં આગળ શું થાય છે.