Gujarat Corona Updates: ગુજરાતમાં ફરી એકવાર કાતિલ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ કેરળમાં JN1 ન્યુ વેરીએન્ટને લઈને દેશમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ આવેલા બંન્ને મહિલાઓ છે, જેઓ સેક્ટર- 6ના રહેવાસી હોવાનું માલૂમ પડે છે, હાલ તેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ગાંધીનગરની 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ પણ લીધા છે. જેમાં એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે. હાલ બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં આવી છે.


દેશમાં 24 કલાકમાં 335 કેસ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય કોરોનાથી યુપી અને કેરલમાં પાંચ લોકોના મોત થયા છે. કેરલમાં વધતા કેસને જોતા કર્ણાટકમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અહીં સ્વાસ્થ્ય મંત્રીએ બધા વરિષ્ઠ નાગરિકો અને બીજી બીમારીથી પીડિત લોકોને માસ્ક લગાવવાની સલાહ આપી છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ કોઈ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં. 


કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને જાહેર કરી એડવાઇઝરી
કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે હેઠળ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડને લઈ ઉભી થયેલી સ્થિતિ પર રાજ્ય સતત નજર બનાવી રાખે. આ સિવાય જિલ્લા સ્તર પર આવનાર એસએઆરઆઈ અને આઈએલઆઈ કેસના રિપોર્ટના સર્વેલન્સનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. અહીં મળનાર પોઝિટિવ સેમ્પલને જીનોમ સીક્વેન્સિંગ માટે આઈએનએસએસીઓજી લેબમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.